સુરત-

સુરત કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવવાની સાથે જ એરપોર્ટ ધમધમવા લાગ્યું છે. પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને ખાનગી એરલાઈન્સ દ્વારા પોતાની ફ્લાઈટનું ઓપરેશન શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આગામી ૨૩મી જુલાઈથી સુરત એરપોર્ટથી ૧૫ શહેરોની કનેક્ટીવિટી સાથે રોજની ૮ થી ૧૩ ફ્લાઈટનું ઓપરેશન હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

તારીખ ૧૬ જુલાઈથી બે ખાનગી એરલાઈન્સની લગભગ ૯ શહેરોને જાેડતી ફ્લાઈટ કાર્યરત થઈ રહી છે. જે પૈકી દિલ્હીની ડેઈલી જ્યારે પુણા, હૈદરાબાદ, કોલકત્તા, જબલપુર, બેંગલુરુ વગેરેની ફ્લાઈટ અઠવાડિયામાં ૩ થી ૪ દિવસ ઓપરેટ થશે. ત્યાં હવે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ સુરત પાસેથી મળતી માહિતી પ્રમાણે, ૧૫થી વધુ શહેરોની એરકનેક્ટીવિટી સાથે તા.૨૩મી જુલાઈથી રોજની ૮ થી ૧૩ ફ્લાઈટ એક દિવસમાં ઓપરેટ થવાની છે. મંગળવારે જ એક સાથે ઓપરેટ થયેલી ૯ ફ્લાઈટના કારણે ૨૦૦૦થી વધુ પેસેન્જર્સની સુરતથી અવર-જવર નોંધાઈ છે. આ આંકડો હવે વધે તેવો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે.

સુરત એરપોર્ટથી મળતી માહિતી પ્રમાણે, તા.૨૩મી જુલાઈ બાદના સોમવારે ૧૩, મંગળવારે ૯, બુધવારે ૧૩,ગુસ્વારે ૧૦, શુક્રવારે ૧૩, શનિવારે ૮ અને રવિવારે ૧૧ ફ્લાઈટ ઓપરેટ થશે. જેમાં ગોવા, કોલકત્તા, જબલપુર, જયપુર, દિલ્હી, હૈદરાબાદ સહિતની ફ્લાઈટનો સમાવેશ થાય છે.સુરત એરપોર્ટ પર એર ટ્રાફિક આવનારા દિવસમાં વધવાનો છે. આ વચ્ચે ચોમાસાની સિઝનના કારણે વરસાદ પડતાં ફ્લાઈટને ટેક ઓફ કે લેન્ડ કરતી વખતે અકસ્માત નહીં સર્જાય તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાપી(પ્રિસિઝન એપ્રોચ પાથ ઈન્ડીકેટર) સિગ્નલ લાઈટનું મેઈન્ટેનેન્સ હાથ ધરવામાં આવ્યું છે. તેના આધારે ફ્લાઈટને ઉતરાણ કરાવવા માટે સિગ્નલ મળી રહેશે.