અમદાવાદ-

રાજીવ સાતવના અકાળે થયેલા નિધનના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીપદ ખાલી પડ્યું છે. આ હોદ્દા પર હવે સચિન પાયલોટની નિમણૂક થઈ શકે છે. કોંગ્રેસનાં સૂત્રોએ આપેલી વિગતો પ્રમાણે , સચિન પાયલોટ ગુજરાત કોંગ્રેસના પ્રભારી બની શકે છે. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટની ગુજરાત કોંગ્રેસના પ્રભારીપદે નિમણૂકની સત્તાવાર જાહેરાત આગામી સપ્તાહમાં થઈ શકે છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સમાધાન થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીપદે સચિન પાયલોટની નિમણૂક ર્નિણય લેવાયો છે. પાયલોટ અને ગેહલોત વચ્ચે થયેલા સમાધાન પ્રમાણે સચિન પાયલોટ જૂથના ધારાસભ્યોને રાજસ્થાન સરકારમાં મંત્રીપદ મળશે. પોતાના જૂથના ધારાસભ્ય મંત્રી બન્યા બાદ સચિન પાયલોટ ગુજરાતની કમાન સાંભળશે અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે કામગીરી શરૂ કરશે.