જામનગરના એક જ પરિવારની ત્રણ મહિલાઓનો ભાણવડમાં આપઘાત
12, ઓક્ટોબર 2021

દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં એક જ પરિવારની ત્રણ મહિલાએ સામૂહિક આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. મૂળ જામનગરના અને છેલ્લા એક અઠવાડિયાથી ભાણવડ રહેવા ગયેલા મુસ્લિમ પરિવારની માતા-પુત્રી અને સાસુએ આર્થિક પરિસ્થિતિથી કંટાળીને સામૂહિક આપઘાત કરતાં ભાણવડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મૂળ જામનગરનો પરિવાર છેલ્લા એક અઠવાડિયાથી દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં રહેવા આવ્યો હતો. ગાયત્રીનગર કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં દીકરી સાહિસ્તા નૂરમમાદ શેખ (ઉં વ.૧૮), માતા નૂરજહાબાનું નૂરમામદ શેખ (ઉં વ. ૪૨), અને સાસુ નમબાનુ સરવણિયા (ઉં વ. ૬૩)એ એકસાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. આ અંગે પોલીસને જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને મૃતક માતા-પુત્રી અને સાસુના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આત્મહત્યાનું મૂળ કારણ શોધવાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution