ગાંધીનગર-

ભારત સરકારના ગૃહમંત્રાલયમાં આવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવીઝન-નેશનલ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના જણાવ્યા અનુસાર ૬ કલાકમાં વાવાઝો઼ડાની તીવ્રતા વધે તેમ છે. આગામી ૨૪ કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. હાલમાં તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ વેરાવળથી ૯૩૦ કિલોમીટર દૂર છે. જે ૧૮ મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પોરબંદર અને નલીયા આસપાસ બપોરના સમયે ત્રાટકશે.

વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં તારીખ ૧૬મીથી જ હળવા કે મધ્યમ ઝાપટા - વરસાદ પડશે, તો ૧૭મી તારીખે ગીર સોમનાથ જુનાગઢના કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.તારીખ ૧૮મીના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તાર જેમ કે, પોરબંદર, દેવભુમી દ્વારકા, જામનગર અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે અને દરિયા કિનારે ૧૨૦થી ૧૫૦ કીમી પ્રતિ કલાકની ઝઢપે પવન ફુકાઇ શકે છે. વાવાઝોડાનાં પગલે દરુયિાઇ સીમાવર્તી વિસ્તારના માછીમારોને દરિયો ન ખેડવા જણાવાયુ છે.

સંભવિત વાવાઝોડાની શક્યતાના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખડેવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને કચ્છમાં ૨-૨ ટીમ જ્યારે ભાવનગરમાં ૧ એનડીઆરએફની ટીમ મોકલવામાં આવશે. જ્યારે કેટલીક ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. અન્ય રાજ્યની ૧૫ જેટલી એનડીઆરએફની ટીમ જામનગર પહોંચી છે અને ત્યાંથી ટીમને અન્ય જિલ્લામાં મોકલવામાં આવશે. ભાવનગર, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જામનગર સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામો, કચ્છના ગામો તથા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચમાં જિલ્લાના ૩ તાલુકા હાંસોટ, જંબુસર અને વાગરાના ૨૯ જેટલા ગામોને એલર્ટ અપાયું છે. સંભવિત તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભરૂચ જિલ્લાના ૩ તાલુકાના દરિયાકાંઠે આવેલા ૨૯ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.