દાહોદ, રતલામ-નીમચ સેક્શનમાં શંભુપુરાથી કંટેનર લઇને પીપાવાવ પોર્ટ જઇ રહેલી માલગાડીને મોટો અકસ્માત થતાં બચી ગયો હતો. ૫૦ કિમી પ્રતિ કલાકે દોડતી માલગાડીના ઇલેક્ટ્રીક એન્જીનના એક્સલ નંબર ૬ના બંને પૈડા જામ થઇ જતાં પાટા સાથે ઘસાવા લાગ્યા હતાં. માલગાડી દોડાવતા રતલામના લોકો પાયલટ ધર્મેન્દ્ર મીણા અને આસિ. લોકો પાયલટ પપ્પુરામ મીણાને આ બાબતની જાણ જ થઇ ન હતી. પલદાથી પસાર થતી વખતે સ્ટેશન માસ્તર અને પોઇન્ટમેને વ્હીલ લોક જાેઇને માલગાડી રોકાવ્યા બાદ ડ્રાઇવરો ચોંકી ઉઠ્‌યા હતાં. પાટા ઉપર ધસડાવવાને કારણે પૈડાઓમાં ૧૨૫થી ૧૮૦ એમ.એમના ખાડા પડી ગયા હતાં. જાણવા મળ્યા મુજબ શંભુપુરાથી રવાના થયાબાદ જ એન્જીનના એક્સેલની ટ્રેક્શન મોટરમાં ક્ષતિ સર્જાઇ હતી. વ્હીલ ઓવરસ્પીડ ફરવા લાગતા ગંભીરી સ્ટેશન સુધીનો આઠ કિમીનો ટ્રેક ખરાબ થઇ ગયો હતો.ગંભીરી સ્ટેશને ચેક કરતાં તાપમાન બરોબર હોવાથી ડ્રાઇવરોએ માલગાડી આગળ વધાર્યા બાદ રસ્તામાં વ્હીલ ક્યારે જામ થઇ ગયા તે ખબર જ પડી ન હતી. માલગાડી ૮૦ કિમી દોડાવીને દલૌદા સ્ટેશન સુધી લઇ આવ્યા હતાં. ઘટના પગલે રેલવેના આસિ. ગ્રેડના ત્રણ અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. શનિવારે દલોદા કંટ્રોલ રૂમ સહિતના કર્મચારીઓના જવાબ લેવામાં આવ્યા છે. ડ્રાઇવર અને ગાર્ડને ૨૪ કલાકના રેસ્ટ ઉપર મોકલી દેવાયા છે