21, સપ્ટેમ્બર 2020
વડોદરા-
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આપદા નિયંત્રણ અને રોગચાળા નિયમનના કાયદાની જોગવાઇઓ હેઠળ આપેલી સૂચનાઓ ના અમલ રૂપે આજે સરકારી નર્સિંગ કોલેજૉના 95 વિદ્યાર્થીઓ સયાજી હોસ્પિટલમાં જોડાયાં છે. આવતીકાલે વધુ 30 વિદ્યાર્થીઓ જોડાવાના છે જેના પગલે નર્સિંગ માનવ સંપદામા 125 નો વધારો થતાં કમીનું નિવારણ થશે અને કોવિડ સારવાર સુવિધાનું મજબૂતીકરણ થશે. ડો.રાવે કોવિડ આર્મીમાં તેમના પ્રવેશને આવકારીને કોરોના વોરિયર તરીકે મળેલી તકને સાર્થક કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ડો.રાવે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને કોવિડ સારવારના સંદર્ભમાં પરિસ્થિતિ ની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે સયાજી હોસ્પિટલમાં કોવિડ સારવાર સુવિધા હેઠળ 575 પથારી ની ક્ષમતા છે,જે પૈકી હાલમાં 331 પથારી દર્દીઓ થી રોકાયેલી છે અને 244 પથારી ખાલી છે. તેવી જ રીતે ,અત્રે 100 અતિ અદ્યતન વેન્ટિલેટર છે જે પૈકી 54 પર દર્દીઓની સારવાર ચાલી રહી છે અને 46 ખાલી છે.