વડોદરા-

વડોદરા જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ત્રણ પિતરાઈ ભાઈના મોત થયા છે. ત્રણેય બાળકોના ડૂબી જવાથી મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યાની સ્થિતિનું નિર્માણ થયું છે, કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં આ દુઃખદ ઘટના બની છે. મૃતક ત્રણેય બાળકોની ઉંમર આઠથી 13 વર્ષની વચ્ચે છે. બાળકો ગુમ થયા બાદ તેમને શોધવા માટે પરિવારે વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર તેમની તસવીરો સાથે મેસેજ વહેતા કર્યાં હતાં. બાળકો ગઈકાલથી ગુમ હતા બાળકો ગુમ થયા બાદ તેમના પરિવારે શોધખોળ આદરી હતી. જે બાદમાં આજે સવારે ગામના જ તળાવમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. એક સાથે ત્રણ ત્રણ બાળકોનાં મૃતદેહ મળી આવતા ગામમાં શોકનો માહોલ છવાય ગયો હતો. પરિવાર માથે તો જાણે આભ જ ફાટી પડ્યું હતું.તમામના મોત ડૂબી જવાથી થયા છે. બાળકો કેવી રીતે અને શા માટે તળાવ ખાતે પહોંચ્યા હતા તે ઘટનાને કોઇએ નજરે જોઈ નથી. તળાવમાં મૃતદેહ પડ્યા હોવાની જાણકારી મળ્યા બાદ ગામના લોકોએ મૃતદેહ બહાર કાઢ્યા હતા.