દિગ્ગજ અભિનેતા અને થિયેટર પર્સનાલિટી વિશ્વ મોહન બડોલાનું બીમારીના કારણે નિધન
24, નવેમ્બર 2020

મુંબઇ 

દિગ્ગજ અભિનેતા અને થિયેટર પર્સનાલિટી વિશ્વ મોહન બડોલાનું 23 નવેમ્બર 2020ના રોજ ઉંમર સંબંધિત બીમારીના કારણે નિધન થયું. આ પ્રખ્યાત કલાકારે ઘણી ફિલ્મો, ટેલિવિઝન સિરિયલો અને સૌથી વધારે થિયેટરમાં કામ કર્યું છે. લોકપ્રિય ટીવી એક્ટર વરુણ બડોલા, ચરિત્ર અભિનેત્રી અલકા કૌશલ અને RJ કાલિંદી તેમનાં સંતાનો છે.

વિશ્વ મોહન બડોલાના મૃત્યુના સમાચારની પુષ્ટિ તેમની પુત્રવધૂ અને દીકરા વરુણ બડોલાની પત્ની રાજેશ્વરી સચદેવે કરી. તેમના અવસાનથી પરિવાર આઘાતમાં છે અને પરિવારે શોક વ્યક્ત કરતાં કહ્યું, 'તેમના જવાથી અમને ઘણી મોટી ખોટ પડી છે.' વિશ્વ મોહન બડોલાએ શોબિઝની દુનિયામાં દાયકાઓ સુધી કામ કર્યું. અભિનય અને થિયેટરના ક્ષેત્રમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે. 

તેમણે 'સ્વદેશ', 'જોધા અકબર', 'પ્રેમ રતન ધન પાયો', અને 'લગે રહો મુન્ના ભાઈ' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

2018માં તેઓ તબ્બુ સ્ટારર ફિલ્મ ‘મિસિંગ’માં જોવા મળ્યા હતા. તે ઉપરાંત તેઓ અક્ષય કુમાર અભિનિત 'જોલી LLB 2'માં અને 'જલપરીઃ ધ ડેઝર્ટ મરમેડ'માં દેખાયા હતા. તેમના મૃત્યુથી જે ખોટ પડી છે તે ક્યારેય પૂરી નહીં થઈ શકે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution