સુરત-

સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા 53 વર્ષીય બ્રજકિશોર બ્રહ્માનંદ દાસને વર્ષ 2018માં ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ દિપક શાસ્ત્રી તરીકે આપી હતી અને તે અયોધ્યા સ્થિત આવેલા ગુરૂકુળ જ્યોતિષ અને વૈદીક નારાયણ જ્યોતિષ સંસ્થાના મેનજર હોવાનું જણાવ્યું હતું. છેવટે આધેડને જણાવ્યું હતું કે, સંસ્થા વગર વ્યાજે 50 લાખ રૂપિયાની લોન આપે છે. લોન લેવા માટે 15 લાખ રૂપિયા સંસ્થામાં ડિપોઝિટ પેટે જમા કરાવવા પડશે. ગઠિયાએ વધુમાં કહ્યું કે, જ્યારે લોન મળશે ત્યારે ડિપોઝિટની રકમ પરત મળી જશે. બ્રજમોહનને દિકરાઓના અભ્યાસ માટે અને કેમિકલનો નવો ધંધો શરૂ કરવાનો હોવાથી રૂપિયાની જરૂરત હતી. તેથી તેમણે લોન માટે હા પાડી દીધી હતી. ત્યારબાદ ભેજાબાજોએ તેઓના ડોક્યુમેન્ટ મંગાવી લીધા હતા. અલગ-અલગ નામથી ફોન કરી ડીપોઝીટ પેટે 15 લાખ, ફાઈલ ચાર્જના નામે 1.30 લાખ ભરાવ્યાા હતા. અજાણ્યા શખ્સોએ પીપલોદ વિસ્તારમાં રહેતા આધેડને વગર વ્યાજે 50 લાખની લોન આપવાનું જણાવ્યું હતું. ભેજાબાજોએ અલગ-અલગ ચાર્જ પેટે 32.40 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આખરે પોતાની સાથે ઠગાઈ થઇ હોવાની જાણ થતા તેઓએ આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરું કરી છે.