ન્યુ દિલ્હી-

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને દુર્લભ બીમારીઓને લઈ રાષ્ટ્રીય નીતિ ૨૦૨૧ને મંજૂરી આપી દીધી છે. તેનો ઉદ્દેશ્ય દવાઓના દેશી સંશોધન અને તેના સ્થાનિક ઉત્પાદન પર વધારે ધ્યાન આપવાની સાથે દુર્લભ બીમારીઓની સારવારના ઉંચા ખર્ચને ઘટાડવાનો છે. એક સત્તાવાર નિવેદન દ્વારા શનિવારે આ જાણકારી આપવામાં આવી હતી.

રાષ્ટ્રીય આરોગ્ય નિધિ યોજના અંતર્ગત આવી દુર્લભ બીમારીઓની સારવાર માટે ૨૦ લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાયની જાેગવાઈ કરવામાં આવેલી છે. આવી દુર્લભ બીમારીઓ નીતિમાં સમૂહ એક અંતર્ગત સૂચીબદ્ધ હોય તે જરૂરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે આ પ્રકારની નાણાકીય સહાયના લાભાર્થીઓ માત્ર બીપીએલ પરિવારો સુધી સીમિત નહીં હોય. આ લાભ દેશની એવી ૪૦ ટકા વસ્તી સુધી પહોંચાડવામાં આવશે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પાત્ર હશે.

દુર્લભ બીમારીઓની સારવાર માટે નાણાકીય સહાયનો પ્રસ્તાવ આયુષ્માન ભારત પીએમજેએવાય અંતર્ગત નહીં પણ રાષ્ટ્રીય આરોગ્ય નિધિ (આરએએન) યોજના અંતર્ગત કરવામાં આવ્યો છે. તે સિવાય નીતિમાં એક ક્રાઉડ ફન્ડિંગ વ્યવસ્થાની પણ પરિકલ્પના કરવામાં આવી છે જેમાં કોર્પોરેટ અને લોકોને દુર્લભ બીમારીઓની સારવાર માટે એક મજબૂત આઈટી પ્લેટફોર્મના માધ્યમથી નાણાકીય સહાય આપવા પ્રોત્સાહિત કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ૩૦ માર્ચના રોજ દુર્લભ બીમારીઓ માટે રાષ્ટ્રીય નીતિ ૨૦૨૧ને મંજૂરી આપી હતી.