ઉત્તરપ્રદેશઃ

રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને ફરી એક વાર મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે શંકાસ્પદ વ્યક્તિએ UP પોલીસની ઈમરજન્સી સેવા ડાયલ 112 પર મેસેજ કરી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપી છે. આ સાથે જ શંકાસ્પદ વ્યક્તિએ મેસેજમાં લખ્યું હતું કે, ચાર દિવસમાં જે થઈ શકતું હોય તે કરી લો. જોકે, પોલીસની સર્વેલન્સ ટીમ આરોપીની તપાસમાં લાગી છે.

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ જ્યારથી રાજ્યના મુખ્યપ્રધાન બન્યા છે ત્યારથી તેમને સતત ધમકી મળતી આવી છે. આ વખતે તો કોઈક શંકાસ્પદ વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમના ફોન નંબર પર ધમકીભર્યો મેસેજ કર્યો હતો. જોકે, પોલીસે ફરિયાદ નોંધી આરોપીની તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, ગયા ગુરુવારે 29 એપ્રિલે મોડી સાંજે પોલીસની ઈમરજન્સી સેવા ડાયલ 112 પર એક ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. આરોપીએ મેસેજમાં લખ્યું હતું કે, તે મુખ્યપ્રધાનને 5મા દિવસે જ મારી નાખશે. આ સાથે એ પણ લખ્યું હતું કે, ચાર દિવસમાં મારું જે કરી શકતા હોય તે કરી લો.