રાજકોટ,રાજ્યના છેવાડાની હોસ્પિટલોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં ગંભીર દર્દીને વધુ સારવાર માટે શહેરોની મોટી હોસ્પિટલોમાં ઝડપથી ખસેડી શકાય અને તેમને સારામાં સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારના સહયોગથી ૧ મહિના પહેલા એર એમ્બ્યુલન્સની સર્વિસ શરૂ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં સૌથી પહેલા રાજકોટના દર્દીને વધુ સારવાર અર્થે ચેન્નાઈ એરલિફ્ટ કરવામાં આવ્યો છે. ગત માસે રાજ્ય સરકાર દ્વારા ૧૦૮ સેવામાં હવાઈ સેવાને સામેલ કરી એર એમ્બ્યુલન્સ શરુ કરવામાં આવી હતી. આ સેવાનો લાભ લેનાર પ્રથમ દર્દી રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ જયકુમાર મકવાણા છે કે જેઓ ફેફસાની બીમારીથી પીડાતા હતા અને તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી તેઓને વધુ સારવાર માટે ચેન્નાઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા શરુ કરાયેલી એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. આ અને રાજકોટ ૧૦૮ના પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગરે જણાવ્યું હતું કે, એર એમ્બ્યુલન્સ અમદાવાદથી આવે છે. જયારે ખાનગી એમ્બ્યુલન્સ મુંબઈ, દિલ્હી કે ચેન્નઈથી આવે તો તેમનું એરફેર વધી જાય તેમજ સમય પણ વધુ લાગે, જયારે અમદાવાદથી આવતી એર એબ્યુલન્સ ખુબ ઝડપથી ગુજરાતમાં કોઈપણ સ્થળે પહોંચી શકે. વળી રાજ્ય સરકાર દ્વારા આ સેવા કાર્યરત હોઈ એરપોર્ટ પર અપ્રુવલ પણ ઝડપથી મળી જાય. ૧૦૮ સેવા સાથે જાેડાયેલી એર એમ્બ્યુલન્સમાં પણ ૧૦૮ વાનની જેમ સાધન સુવિધાથી સજ્જ હોઈ છે. એર એમ્બ્યુલન્સમાં એમ.બી.બી.એસ. ડોક્ટર તેમજ પેરા મેડિકલ સ્ટાફ હાજર હોઈ છે. દર્દીની મેડિકલ હિસ્ટ્રી મુજબ સાધનો અને દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવે છે. આ અંગે મિલનભાઈ જણાવે છે કે, આ માટે સૌપ્રથમ ૧૦૮માં કોલ કરવો પડે છે, કોલ સેન્ટરમાં એર એમ્બ્યુલનસ સેવાનો લાભ લેવા માટે માહિતી આપવી પડે છે. દર્દી હવાઈ મુસાફરી માટે ફિટ છે, તે સર્ટિફિકેટ ડોક્ટર્સ દ્વારા આપવામાં આવે પછી જ આ સેવાનો લાભ મેળવી શકે છે.આ સેવાનો લાભ મેળવવા માટે દર્દીને એરપોર્ટથી એરપોર્ટનો ચાર્જ ચૂકવવો પડે છે. એરપોર્ટ સુધી પહોંચવા માટે ૧૦૮ વાનની નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ છે.