ભાવનગર,તા.૧૭

ઘોઘારોડ પોલીસે મોડીરાત્રે ક્રેસન્ટ સર્કલ નજીક આવેલ માણેકવાડી વેરાયટી ફૂટવેર વાળા ખાંચામાં આવેલ નિલકંઠ ફેલટની બાજુમાં આવેલ મકાનમાં ચાલતા હુક્કાબારમાં દરોડા પાડી હુકાબારના સંચાલક સહિત ૧૯ જેટલા નબીરાઓ પાસેથી ઘોઘારોડ પોલીસે ૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શહેરમાં પોલીસે કરેલ રેઈડથી ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ બલરાજસિંહે ફરિયાદ નોંધાવી હતી કે, હું તથા ગંગાજળિયા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો નાઈટ કોમ્બીગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ નજીક આવેલા માણેકવાડી રેલવે સ્ટેશન નજીક આવેલા પ્લોટ નંબર ૫૭૧ ખાતે રહેતા અસદ અસફાકભાઈ કાલવાના રહેણાંકી મકાનમાં અમુક માણસો હુકાબાર ચલાવે છે. જે મળેલી બાતમીના આધારે ઘોઘારોડ પોલીસ કોર્ડન કરી હુક્કાબાર પર રેઈડ કરી ત્રાટકતા મકાનની અગાસી પર પ્રવેશી તલાશી લેતા ચાર કુંડાળું વાળીને અમુક માણસો હુક્કાબારની મોજ માણતા શખ્સો ઝડપાયા હતા. તમાકુની ફ્લેવરના ડબ્બા નંગ- ૩ કિ.રૂ.૭૫૦,ચાલુ હુકકો નંગ-૪ કિ.રૂ.૨૦૦૦ તથા નંગ-૧૯ કુલ કિંમત રૂપિયા ૪,૪૮,૭૫૦ના મુદ્દામાલ સાથે ઘરપકડ કરી હતી.