ગાંધીનગર-

હાલમાં જ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરેલ કેબિનેટ વિસ્તરણમાં ગુજરાતના ૫ મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. તો હવે ૧૫મી ઓગસ્ટે આઝાદીના પર્વ બાદ રાજ્યમાં આ પાંચ મંત્રીઓ ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા કાઢશે. અને ગુજરાતના કુલ ૧૫૧ સ્થળોએ કુલ ૨૦,૨૭૭ કિમીની યાત્રા થશે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨માં ગુજરાતની ચૂંટણીને લઈને પણ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોય તેવો ગણગણાટ શરૂ થઈ ગયો છે.

કેન્દ્ર સરકારમાં નવનિયુક્તિ પામેલાં ગુજરાત ભાજપના ૫ કેન્દ્રીય મંત્રીઓની ૧૬મી ઓગસ્ટથી જન આશીર્વાદ યાત્રા નીકળશે. ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ૧૬ થી ૨૧ ઓગસ્ટ સુધી અલગ અલગ સ્થળો પર યાત્રા નીકળશે. જેમાં દેવુસિંહ ચૌહાણ પાલનપુરથી યાત્રા શરૂ કરીને નડિયાદ સમાપન થશે. મહેન્દ્ર મુંજપરાની યાત્રા અમદાવાદથી શરૂ થઈને લીંબડી ખાતે સંપન્ન થશે. આ ઉપરાંત દર્શનાબેન જરદોશની યાત્રા આણંદથી શરૂ થઈને સુરત ખાતે પૂર્ણ થશે. પરસોત્તમ રૂપાલાની યાત્રા ઊંઝાથી શરૂ થઈને અમરેલી ખાતે પુરી થશે. તેમજ મનસુખ માંડવિયાની ત્રણ દિવસની યાત્રા રાજકોટથી શરૂ થઈને ભાવનગર ખાતે પૂર્ણ થશે. આમ કેન્દ્રીય મંત્રીઓની જન આશીર્વાદ યાત્રા ગુજરાતના કુલ ૧૫૧ સ્થળે જશે. અને આ યાત્રા કુલ ૨૦,૨૭૭ કિલોમીટરની યાત્રા થશે.