વડોદરા, તા.૧૬ 

શહેરના ગોરવા-લક્ષ્મીપુરા ગામના અણખોલ નગરમાં રહેતા રાઠોડ પરિવારનો ૮ વર્ષીય માસૂમ બાળક ઘરની પાણીની ટાંકીમાં પડી જતાં મોતને ભેટયો હતો. બાળકના મૃતદેહને ગોરવા પોલીસ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

શહેરના ગોરવા-લક્ષ્મીપુરા વિસ્તારના અણખોલ નગરમાં કેતનભાઈ રાઠોડ તેમના પરિવારમાં ૮ વર્ષીય પુત્ર આદિત્ય તથા પત્ની છે. ગઈકાલે આદિત્ય રમતાં રમતાં ઘરના કંપાઉન્ડમાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જતાં મોત નીપજ્યું હતું. તેની માતાએ પુત્ર આદિત્યની કલાકોની શોધખોળ બાદ તેનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો. પિતા કેતનભાઈ પુત્ર આદિત્યને લઈને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે આદિત્યને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ ગોરવા પોલીસ મથકને કરવામાં આવી હતી. પોલીસે બનાવ સંદર્ભે કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.