અમદાવાદ-

ગુજરાત ભરમાં કહેર મચાવી રહેલા કોરોના વાયરસના કાળમાં ભાજપ સરકાર સામે અનેક કૌભાંડ કર્યા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. ત્યારે હવે આ સંકટના સમયમાં અમદાવાદ શહરેમાં પૂર્વ મેયર ભાવના દવે દ્વારા એક ભરતી કૌભાંડ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ એક RTIમાં સામે આવ્યું છે કે, મોબાઇલ એપથી ભરતીપ્રક્રિયા યોજી હતી, જેમાં પૂર્વ મેયરે પોતાના સગા સંબંધીઓને લાભ આપી ગેરરીતિ આચરી છે. આરટીઆઇ દ્વારા સામે આવ્યું છે કે, સિનિયર કલાર્ક તરીકે પસંદગી પામેલા ભાવનાના કૌટુંબિક છે. ટેન્ડર વગર સગાઓને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. 

આપને જણાવી દઈએ કે, હાલ ભાવના દવે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યાક્ષ છે.. RTIની માહિતીમાં મળેલી જાણકારી મુજબ, પૂર્વ મેયર ભાવનાબેન દવેએ બોર્ડમાં સિનિયર-જુનિયર કલાર્કની જગ્યા શિક્ષણમંત્રી પાસે મંજૂર કરાવી 9 મહિના પહેલા મોબાઇલ એપ્લિકેશનથી ભરતી કરી હતી. 

પોતાના જ સગા ભત્રીજાની કંપનીને ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર આ પરીક્ષાનો કોન્ટ્રાકટ આપ્યો હતો. આ પરીક્ષા SHOOLINDESIGH PVT LTD દ્વારા લેવામાં આવી હતી. આરટીઆઇમાં કંપનીને કેટલો ખર્ચ ચુકવ્યો તેની માહિતી ન આપી. પરીક્ષામાં કુલ 2200 અરજી આવી હતી તે પૈકી 1600 ઉમેદવારે પરીક્ષા આપી હતી. 130 ઉમેદવાર પાસ થયા છતા 50ને ઇન્ટરવ્યુમાં બોલાવ્યા હતા. બીજી તરફ ભાવનાબેન દવે સામે થયેલા કૌભાંડના આક્ષેપોને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં પ્રકાશન અધિકારીએ ખોટા ગણાવ્યા છે. બોર્ડ દ્વારા ભાવનાબેન દવેનો બચાવ કરાયો છે. બોર્ડે કહ્યું કે રાજ્ય સરકારની મંજૂરી પછી પરીક્ષા લેવાઇ છે. અને 5 RTI મળી એનો જવાબ આપ્યો છે. RTI બાદ તપાસ માટે સમિતીની રચના કરાઇ હોવાનો પણ દાવો કરાયો છે.