આણંદ : સાબરમતી આશ્રમ અમદાવાદથી તા.૧૨ માર્ચના રોજ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે નીકળનારી દાંડી યાત્રાના તા.૧૨ માર્ચના આવતીકાલના દિવસે આણંદ જિલ્લામાં કરમસદ, આણંદ, રાસ અને બોરસદ ખાતે વિવિધ ઉજવણી કાર્યક્રમોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

તા.૧૨ માર્ચના રોજ સવારે ૯ઃ૩૦ કલાકે કરમસદના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે આઝાદી અમૃત મહોત્સવનો વિશેસ કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્ય સરકારના ઊર્જા વિભાગના મંત્રી સૌરભ પટેલ ઉપસ્થિત રહેશે, જ્યારે ટાઉન હોલ આણંદ ખાતે યોજાનારા કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી યોગેશભાઈ પટેલ હાજરી આપશે. આ ઉપરાંત રાસ ગામે હાઈસ્કૂલ સંકુલમાં યોજાનારા અમૃત મહોત્સવ ઉજવણી કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ અને ધારાસભ્ય મહેશભાઈ રાવલ હાજર રહેશે. બોરસદ વેરા એક્સેલેન્ટ સ્કૂલ ખાતે યોજાનારાં કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર ઉપસ્થિત રહેશે. તા.૧૨મી માર્ચના રોજ યોજાનારા આઝાદી અમૃત મહોત્સવ કાર્યક્રમમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.