દિલ્હી-

ભારતમાં કોરોનાના કુલ કેસ એક કરોડનો આંકડો પાર કરી ચુક્યા છે. અમેરિકા બાદ માત્ર ભારતમાંજ એક કરોડ કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૨૫,૧૫૩ નવા કેસ સામે આવ્યા છે. કુલ સંક્રમિત લોકોમાંથી ૧,૪૫,૧૩૬ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. બીજી તરફ અત્યાર સુધી ૯૫ લાખ ૫૦ હજારથી વધુ લોકો સ્વસ્થ પણ થઇ ચુક્યા છે. ભારતમાં ૩,૦૮,૭૫૧ સક્રિય કેસ છે.

ભારતમાં ૯૦ લાખથી એક કરોડ કેસ સુધી પહોચવામાં ૨૯ દિવસનો સમય લાગ્યો છે. છેલ્લા ૩ મહિનાથી ભારતમાં કોરોનાના કેસમાં કમી આવી છે. ૧૫ સપ્ટેમ્બરે ભારતમાં કોરોનાના કેસ ૫૦ લાખનો આંકડો પાર કરી ચુક્યા હતા. ૧૭ સપ્ટેમ્બરે ભારતમાં ૯૮,૭૯૫ કેસ સામે આવ્યા હતા, જે અત્યાર સુધી કોઇ પણ ૨૪ કલાકમાં સામે આવેલા સૌથી વધુ કેસ છે.

જાે રાજ્યની વાત કરીએ તો દક્ષિણ ભારતના રાજ્યોમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. ૧૯ નવેમ્બરે જ્યારે ભારતે ૯૦ લાખનો આંકરો પાર કર્યો હતો ત્યારે દક્ષિણના રાજ્યોના કુલ કેસમાં શેર ૩૭ ટકા હતો. તે બાદ આવેલા ૧૦ લાખ કેસમાં તેમની ભાગીદારી ૨૭ ટકા છે.

અમેરિકામાં અત્યાર સુધી ૧ કરોડ ૭૦ લાખ કેસ સામે આવી ચુક્યા છે. અમેરિકા અને ભારત બાદ સૌથી વધુ કેસ બ્રાઝીલમાં સામે આવ્યા છે. ત્યા આશરે ૭૧ લાખ લોકો અત્યાર સુધી સંક્રમિત થઇ ચુક્યા છે.

દેશના ૫ રાજ્યો એવા છે જ્યાં કોરોનાના દર્દીઓ સૌથી વધુ રિકવર થયા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કેરળ. મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૭,૬૯,૮૯૭ દર્દીઓ અત્યાર સુધી રિકવર થાય છે. જે ટકાવારીમાં ૯૩.૮૦ ટકા થાય છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં ૮,૭૭,૧૯૯ દર્દીઓ રિકવર થયા છે. ટકાવારીમાં ૯૬.૯૭ ટકા છે. આંધ્ર પ્રદેશમાં ૮,૬૫,૩૨૭ દર્દીઓ જે ટકાવારીમાં ૯૬.૯૭ ટકા, તામિલનાડુમાં ૭,૮૦,૫૩૧ દર્દીઓ ટકાવારીમાં ૯૭.૨૮ ટકા, અને કેરળમાં ૬,૨૨,૩૯૪ દર્દીઓ ટકાવારીમાં ૯૧.૦૭ ટકા અત્યાર સુધીમાં રિકવર થયા છે. ૫ રાજ્યોમાં દેશના ૫૫ ટકા દર્દીઓ રિકવર થયા છે.