અમદાવાદ-

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ ૨૦૨૦ પસાર કરવામાં આવ્યો છે. ત્યારે તાજેતરમાં રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હોવાના સમાચાર સામે આવ્યા બાદ હવે અમદાવાદના જિલ્લામાં હંસપુરા ભૂમાફિયાઓએ કરોડોની જમીન પચાવી પાડી હોવાનો અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ખુલાસો કર્યો હતો.

આજે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂ-માફિયાઓના નામની જાહેરાત કરી હતી. અલ્પેશ ઠાકોરે ભૂમાફિયાઓને ઉઘાડા પાડ્યા હતા. અલ્પેશ ઠાકોરે કલ્પેશ પટેલ ( ગણેશ મેરિડિયન ), ઉદય ભટ્ટ ( ગેલેક્સી ગ્રુપ ), અને ભાવિક દેસાઈ અને તેના સાગરીતોના નામ જાહેર કર્યા હતા.

અલ્પેશ ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે ગણેશ મેરેડીયનના કલ્પેશ પટેલે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની ૨૫૦ કરોડની કિંમતની જમીન પચાવી પાડી છે, જ્યારે ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની ૪૦૦ કરોડની જમીન પચાવી છે. તો બીજી તરફ ભાવિક દેસાઈ અને તેના સાગરીતોએ વસ્ત્રાલના ખેડૂતની ૧૫૦ કરોડની જમીન પચાવ્યાનો આક્ષેપ કર્યો હતો. ભૂમાફિયાઓએ ખોટા દસ્તાવેજાે, બાનાખતો ઉભા કરી છેતરપિંડીનો પ્રયાસ કરે છે. જે લોકોની સીધી સંડોવણી છે જે લોકોએ મોટા મોટા એમ્પાયર બનાવ્યા છે. આ માત્ર ટોકન બનાવો છે. અમૃતભાઇ નામના ખેડૂતે જણાવ્યું હતું કે મારી હંસાપુર ગામમાં જમીન આવી છે, જેના બે પેઢીનામા બનાવવામાં આવ્યા છે. એક વ્યક્તિના બે પિતાના નામના પેઢીનામા બનાવવામાં આવ્યા છે.