મુંબઈ-

સુષાંત સિંઘ રાજપુતની ફિલ્મ એમ એસ ધોનીમાં તેમજ અક્ષય કુમારની ફિલ્મ કેસરીમાં અભિનયના ઓજસ પાથરી ચૂકેલા કલાકાર સંદિપ નાહરે આપઘાત કરીને મોતને વહાલું કર્યું છે, અને તે અંગેની એક લાંબી ફેસબૂક નોંધ સાથે એક વિડિયો પણ મૂક્યો હતો. પોતે આપઘાત કરીને ફાની દુનિયાને અલવિદા કહી રહ્યા છે એમ કહેતાં નાહરે પોતાની નોંધમાં ઉમેર્યું હતું કે, મારા મોત માટે મારા પરીવારમાંથી કોઈને જવાબદાર ઠેરવવા નહીં.

અભિનેતાએ કહ્યું હતું કે, તે પોતે વ્યક્તિગત અને વ્યાવસાયિક ધોરણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તેમણે લખ્યું હતું કે, હવે જીવવાની ઈચ્છા નથી રહી. જીવનમાં ઘણા સુખદુઃખ જોયા....દરેક સમસ્યાનો સામનો કર્યો પણ આજે હું જે આઘાતમાંથી પસાર થઈ રહ્યો છું, તે મારી સહનશક્તિની બહાર છે. હું જાણું છું કે, આપઘાત કરવો એ કાયરતા છે, મારે પણ જીવવું હતું પણ એવા જીવ્યાનો શો અર્થ જેમાં તમને શાંતિ ન હોય અને તમારું આત્મસન્માન ન જળવાય. તેમણે પોતાની લાંબી લખેલી સુસાઈડ નોટ પરથી એટલું સમજાય છે કે, તેઓ પોતાની પત્ની સાથેના તંગદિલીભર્યા સંબંધોથી ખૂબ હતાશ હતા. પોતાની પત્ની હાયપર પ્રકારના સ્વભાવની છે તેમજ પત્ની અને સાસુ તેમને ક્યારેય સમજ્યા નથી કે સમજશે નહીં એવી કેફિયત તેમણે પોતાની સુસાઈડ નોટમાં લખી હતી.