અમદાવાદ-

ગુજરાતમાં 8 વિધાનસભાની સીટ પર થનાર પેટાચૂંટણીમાં કુલ 80 ઉમેદવારો ઊભા રહ્યાં છે. તેમના સોગંદનામાંનું પૃથક્કરણ ADR અને ગુજરાત ઇલેક્શન વોચ દ્વારા કરવામાં આવ્યું છે. 80 ઉમેવારોમાંથી 14 ઉમેદવારો (18 ટકા) ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે તેમાંના 7 ઉમેદવારો પર ગંભીર ગુનાઓ નોંધાયા છે. 2 ઉમેદવારો પર ખૂનના પ્રયાસોની કલમ IPC 307 હેઠળ ગુનો નોંધાયો છે. સર્વોચ્ચ અદાલતે 6/3/2020 તારીખના આદેશમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, રાજકીય પક્ષો જે ગુનાઈત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની પસંદગી કરે તો 48 કલાકની અંદર તેમના પર નોંધાયેલા ગુનાઓની વિગતો સહિત, તેમની કેમ પસંદગી કરવામાં આવી તેના કારણો રજૂ કરવા. આ વિગતો સાથેનો અહેવાલ 72 કલાકની અંદર ચૂંટણી પંચને પણ આપવો. નોંધનીય બાબત એ છે, રાજકીય પક્ષો “જીતવાની શક્યતા”ને કારણ દર્શાવી ગુનાહિત ઇતિહાસવાળા ઉમેદવારોની પસંદગી ન કરી શકે. તેમને તેમનું શિક્ષણ, મેરીટ, સિદ્ધિઓ વગેરેને પસંદગીના ધોરણો તરીકે જોવા જોઈએ. ગુજરાતના મુખ્ય બે પક્ષોએ સર્વોચ્ચ અદાલતના આ આદેશ તરફ ધ્યાન આપ્યું હોય તેવું જણાતું નથી. કોંગ્રેસએ 8માંથી 2 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવતા પસંદ કર્યા છે. જ્યારે BJPએ 8માંથી 3 ઉમેદવારો ગુનાઇત ઇતિહાસવાળા પસંદ કર્યા છે. લોકપ્રિયતા અને સામાજિક કામના માપદંડો લગાવીને આ પસંદગી કરવામાં આવી છે, તેવું પક્ષોએ તેમના ચૂંટણી પંચને મોકલવામાં આવેલા અહેવાલમાં જણાવ્યું છે. જેથી ADR અને ગુજરાત ઈલેક્શન વોચે માગણી કરી કે પક્ષો સામે અદાલતના ચુકાદાની અવગણના કરવા બદલ પગલાં લેવા જોઈએ.