02, જાન્યુઆરી 2021
ઝાલોદ, ઝાલોદની અત્યંત ચકચારી હિરેન પટેલ હત્યા કેસમાં હરિયાણાના મેવાત થી ગુજરાત એટીએસના હાથે ઝડપાયેલા ઇમરાન ગુડાલાએ પોલીસ પૂછપરછમાં પોતાનું મોં ખોલતા દાહોદના માજી સાંસદ બાબુભાઈ કટારાના પુત્ર અમિત કટારાનું નામ આવતા ગતરોજ એલસીબી પોલીસે અમિત કટારાની તેના માદરે વતન ચિત્રોડીયા ગામે થી ધરપકડ કરી લેતા ઝાલોદ તાલુકાની કોંગી લોબીમાં ખળભળાટ મચી જતા આજે તેના વિરોધમાં ઝાલોદ તાલુકામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી કાઢી પ્રાંત અધિકારી ઝાલોદને એક આવેદન પત્ર આપી સાચી દિશામાં તપાસની માંગ કરી અને મારી માંગણીને ધ્યાને લેવામાં નહીં આવે તો આવનાર ટૂંક સમયમાં જિલ્લા લેવલનો કાર્યક્રમ કરી ગામે ગામ રાજકીય દબાણને વશ થઈ પોલીસ દ્વારા કરવામાં આવેલ બેવડી નીતિને ઉજાગર કરી ભુખ હડતાલની સાથે સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી તે સમયે કોઈ અનુગતી ઘટના બનશે તો તેની તમામ જવાબદારી શાસન અને પ્રશાસન ની હોવાનું જણાવ્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે ઝાલોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલ હત્યા કેસમાં સાચી દિશામાં તપાસ કરવાને બદલે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા રાજકીય કિન્નાખોરી રાખી રાજકીય દબાણને વશ થઈ પોલીસ અધિકારીઓ દ્વારા કોંગ્રેસ પક્ષનું વાતાવરણ ડહોળવા બદ ઇરાદા થી કોંગ્રેસ પક્ષનાં કાર્યકરોને ખોટી રીતે ખોટા કેસો ઉભા કરી ફસાવવામાં આવી રહ્યા છે. તે અને કોંગ્રેસના નગરપાલિકાના કાઉન્સિલરની આત્મહત્યાના કેસમાં આજ દિન સુધી સાચી દિશામાં કોઈ પણ સાચી તપાસ કરવામાં આવે તો અંતિમ અગ્રવાલને આત્મહત્યા કરવા પ્રેરિત કરનાર ભાજપના અને ક માણસના નામ બહાર આવી શકે તેમ હોઈ રાજકીય દબાણને વશ થઈ પોલીસ દ્વારા સાચી દિશામાં તપાસ ન કરવામાં આવતાં અને હિરેન પટેલ કેસમાં ખોટી રીતે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને ફસાવવામાં આવી રહેલ છે. જે બાબતે પોલીસ અધિકારીઓની બેવડી નીતિ સામે આ બંને કેસમાં યોગ્ય તપાસ કરવામાં આવે તે બાબતે અમોને આવેદન પત્ર આપવાની ફરજ પડી છે .
દાહોદ તાલુકાના તમામ કોંગ્રેસ કાર્યકરતાઓ દ્વારા હિરેન પટેલ કેસમાં રાજકીય કિન્નાખોરી રાખી રાજકીય રંગ આપી ઢોંગી કાર્યકર્તાઓને ખોટા કેસોમાં ફસાવવા કરતા સાચી દિશામાં તપાસ કરી હિરેન પટેલના રંગીન મિજાજી અને મધુર સંબંધો વિશે પણ તપાસ કરવામાં આવે અને હિરેન પટેલની ક્યાં ક્યાં અને કેટલી પત્નીઓ અને બાળકો છે. તેની તપાસ કરવામાં આવે તથા અંતિમ અગ્રવાલ કેસમાં પણ સાચી દિશામાં તપાસ કરવામાં આવે તેવી અપીલ કરી હતી.