રાજકોટ-

રાજય ચૂંટણી પંચની કોવિડ-19 ની ગાઈડલાઈન મુજબ આગામી તા.21 ના રોજ રાજકોટ સહીતનાં છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કોરોના પોઝીટીવ દર્દી પણ મતદાન કરી શકશે.આ અંગે આજરોજ રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહનએ એક વાતચીત દરમ્યાન જણાવેલ હતું કે મ્યુ.કોર્પોરેશનની ચુંટણીનાં દિવસે તા.21 ના રોજ મતદાનનાં સમયની છેલ્લી એક કલાક દરમ્યાન કોવિડ-19 ની ગાઈડલાઈન અનુસાર કોરોના પોઝીટીવ દર્દીઓ બુથ ઉપર જઈ પોતાનો મત આપી શક્શે. જીલ્લા કલેકટરના જણાવ્યા મુજબ મતદાનના દિવસે સાંજે 5 થી 6 વાગ્યા વચ્ચે એટલે કે છેલ્લી એક કલાક દરમ્યાન કોરોના પોઝીટીવ દર્દી મતદાન કરી શકશે.વધુમાં જીલ્લા કલેકટરનાં જણાવ્યા અનુસાર આવા કોરોના પોઝીટીવ દર્દીઓને મતદાન કરવા માટે મતદાનનાં આગલા દિવસે જે તે વોર્ડનાં સંબંધીત આર.ઓ.પાસે નામ નોંધણી કરાવવી પડશે.કોરોના પોઝીયીવ દર્દીનાં પરિવારજન દ્વારા કોરોના પોઝીયીવ રીપોર્ટ અંગેનું પ્રમાણપત્ર અને કોઈપણ એમ.બી.બી.એસ.ડોકટરનું પ્રમાણપત્ર આર.ઓને આપવુ પડશે.

આ પ્રમાણપત્રમાં એમબીબીએસ ડોકટર દ્વારા કોરોના પોઝીટીવ દર્દીની મતદાન કરી શકે તેવી સ્થિતિ છે અને તે મતદાન સરળતાથી કરી શકે છે.તેવી ભલામણ જરૂરી છે.આ પ્રકારનો તબીબી અભિપ્રાય અને કોરોના પોઝીટીવનો રીપોર્ટ દર્દીના પરિવારજનો દ્વારા જે તે વોર્ડનાં આર.ઓ.ને અપાયા બાદ ચૂંટણી અધિકારી દર્દીને મતદાન કરવા દેવાની મંજુરી આપશે.આ ઉપરાંત કોરોના અંતર્ગત હોમ આઈસોલેશનમાં હોય તેણે પણ મતદાન માટે આર.ઓ ને લેખીતમાં જાણ કરવી પડશે. અને પીપીઈ કીટ પહેરીને મતદાન કરવાનું રહેશે.