વડોદરા, તા.૨૭ 

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે સયાજી હોસ્પિટલની મુલાકાત લઈને પ્રગતિ હેઠળના કામોનું નિરીક્ષણ અને કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે ગઇકાલે ૨૫ મલ્ટી પેરા મોનીટર મળ્યા હતા જે સ્થાપિત કરી દેવામાં આવ્યાં છે.

આ ઉપરાંત સર્જરી વોર્ડમાં ૩૫ કોવિડ બેડ્‌સ તૈયાર થઈ ગયા છે જે આવતીકાલથી ઉપયોગમાં લેવાનું શરૂ કરાશે.બાળ ચિકિત્સા વિભાગ ના સ્થળાંતરનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટ્રોમા બિલ્ડિંગમાં તમામ માળો પર ફ્લો મીટર સાથે પૂરતી સંખ્યામાં ઓક્સીજન પોઈન્ટ બેસાડવાનું આયોજન છે અને આગામી થોડા દિવસોમાં તમામ ૫૦૦ બેડ્‌સ ઉપયોગમાં લઇ શકાશે. લિકવિડ ઓક્સિજન ટેન્કની કામગીરી પણ પૂર્ણતા તરફ આગળ વધી રહી છે.

ઉપરાંત સેન્ટ્રલ જેલની મુલાકાત લઇને ચેપનું જોખમ નિયંત્રિત કરવાના ઉપાયોની ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, સેન્ટ્રલ જેલના કમ્પાઉન્ડમાં ૮૦ બેડ્‌સનું કોવીડ હેલ્થ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટ્રલ જેલમાં એક એમડી, એક એમએસ તથા ચાર એમબીબીએસ ડાૅકટર્સની પૂર્ણકાલીન સેવાઓ ઉપલબ્ધ છે. જેલ સંકુલમાં આ કોવીડ હેલ્થ સેન્ટર શનિવાર સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે.  

જ્યારે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લઇને કોવિડ સારવારની સુવિધાઓની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે, આ હોસ્પિટલના ૫માં માળે સારવારની સુવિધા ચાલુ થઈ ગઈ છે અને છઠ્ઠા માળની સુવિધા તા.૧લી ઓગસ્ટ સુધીમાં ચાલુ થઈ જશે. તેમણે સંકેત આપ્યો કે, એક વાર દર્દીઓને મુખ્ય ઇમારતના ૫માં માળે સ્થળાંતરિત કરવાનું કામ પૂરું થાય જાય પછી ૭ થી ૧૦ દિવસમાં ગોત્રી હોસ્પિટલ ખાતેના સમગ્ર ડોમ સ્ટ્રકચરને ૧૦૦ બેડનાં આઇ.સી.યુ.માં ફેરવવામાં આવશે.