30, જાન્યુઆરી 2021
ગાંધીનગર-
રાજ્યમાં આગામી પહેલી ફેબ્રુઆરીથી રાત્રી કરફ્યુના સમયમાં છૂટછાટ આપવામાં આવી છે. સોમવારથી રાત્રી કરફ્યુના અમલનો સમય રાત્રીના 11 થી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે.
આમ આગામી 15મી સુધી રાત્રી કરફ્યુનો અમલ ચાલુ રહેશે પરંતુ તેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ તે રાત્રીના 10થી સવારે 6 સુધીનો હતો તેને બદલીને હવે પહેલીથી રાત્રીના 11 થી સવારે 6 સુધીનો કરી દેવાતાં એક કલાકની રાહત અપાઈ છે. સાથે જ લગ્ન સમારંભોમાં આમંત્રિતોની સંખ્યા હવે 200 સુધીની કરી શકાય એવી છૂટ આપવામાં આવી છે. જો કે આ દરમિયાન ભારત સરકાર દ્વારા ગૃહમંત્રાલય હેઠલના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી થકી ગત 27મી ના રોજ અપાયેલી કોરોના સામેની ગાઈડલાઈનનો પણ ચૂસ્ત અમલ કરવાનો રહેશે.
આ નિયમોમાં ફેસમાસ્ક અને સેનિટાઈઝર ઉપરાંત ફ્લોર માર્કીંગનો સમાવેશ થાય છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગનો સમાવેશ થાય છે. લગ્ન પ્રસંગોમાં વધારે વ્યક્તિઓ માટે છૂટછાટ તો અપાઈ છે, પણ તેમાં નાની ઉંમરના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, 65 વર્ષથી વધુના વયસ્ક નાગરીકોને સમાવાય નહીં તેને સલાહભર્યું ગણાવાયું છે.
સાથે જ મૃત્યુ બાદની અંતિમ વિધિ દરમિયાન મહત્તમ 50 લોકોને સામેલ કરી શકાશે. હોલ, હોટેલ, બેંક્વીટ હોલ, રેસ્ટોરંટ, કમ્યુનિટિ હોલ, ઓડિટોરીયમ વગેરે સ્થળોએ જે-તે સ્થળની ક્ષમતાના 50 ટકા લોકોને જ એકઠા કરી શકાશે એ સહિતના નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ જાહેરનામાની વિગતો આપતાં કહ્યું હતું કે, આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.