મોરબી, મોરબીના હળવદમાં આધેડની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. હળવદના વેગડવાવ રોડ ઉપર આવેલી ભવાનીનગર વિસ્તારમાં રહેતા આધેડની શનિવારની રાત્રીના તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા ચકચાર મચી છે. આ ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારાઓને શોધી કાઢવા ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. હળવદના વેગડવાવ રોડ ઉપર ભવાની નગરમાં રહેતા મૂળ સાપકડા ગામના વતની એવા જેમાભાઈ રૂપાભાઈ નંદેશરીયા ઉ.૫૫નો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો. તેમના રહેણાંકની બહાર ખાટલા નીચે તેમનો મૃતદેહ પડ્યો હોવાનું તેમના ભાણેજને જાેવા મળતા તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળે દોડી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૂળ સાપકડા ગામના વતની મૃતક જેમાભાઈ અને તેમના નાનાભાઈ રમણીકભાઈ નિર્વિવાહિત છે અને બન્ને ભાઈઓ મજૂરીકામ કરી જીવન નિર્વાહ ચલાવે છે. ગતરાત્રીના બનેલી ઘટનામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકાતા જેમાભાઈનું વધુ પડતું લોહી નિકળવાથી મૃત્યુ નિપજ્યાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. પોલીસની તપાસમાં પાડોશમાં રહેતો પરિવાર ઘર બંધ કરીને ચાલ્યો ગયો હોય હત્યા અંગે શંકાની સોય પાડોશી ઉપર તકાઈ રહી છે.