26, માર્ચ 2021
ગાંધીનગર, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષમાં ૧૧૯૬ બિનવારસી લાશો કરવા માટે ખાનગી કંપનીને રૂ. ૮,૨૯,૫૩૫/ ની રકમ ચુકવવામાં આવી હોવાનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં ગૃહમાં એકરાર કર્યો હતો. આ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી સમય દરમિયાન કોંગ્રેસના હિંમતસિંહ પટેલે સવાલ ઉઠાવ્યો હતો કે, તા. ૩૧-૧૨-૨૦૨૦ ની સ્થિતિએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ બિનવારસી લાશોના નિકાલ માટે કઈ એજન્સીને ક્યારથી કામગીરી સોંપવામાં આવી છે? ઉક્ત એજન્સીને ઉક્ત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલા મૃતદેહોના નિકાલ માટે કેટલી રકમની ચૂકવણી કરવામાં આવી હતી?
કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલના સવાલના પ્રત્યુત્તરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે લેખિતમાં જવાબ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ કામગીરી માટે સાહસ સોલ્યુશન, અમદાવાદ નામની એજન્સીને ગત તા. ૦૭-૦૯-૨૦૧૮ થી કામગીરી સોંપવામાં આવી છે. જેના અંતર્ગત વર્ષ ૨૦૧૯માં ૫૯૨ મૃતદેહોના નિકાલની કામગીરી માટે રૂ. ૪,૧૧,૬૯૫/ની રકમ ચૂકવવામાં આવી હતી. જયારે વર્ષ ૨૦૨૦માં ૬૦૬ મૃતદેહોના નિકાલની કામગીરી માટે આ એજન્સીને રૂ. ૪,૧૭,૮૪૦/ની રકમ ચૂકવવામાં આવી હતી. આમ છેલ્લા બે વર્ષમાં આ એજન્સીને ૧૧૯૮ મૃતદેહોના નિકાલની કામગીરી માટે કુલ રૂપિયા રૂ. ૮,૨૯,૫૩૫/ ની રકમ ચુકવવામાં આવી હોવાનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લેખિતમાં જણાવ્યું હતું.