નેત્રંગ, તા.૧૧ 

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનના પ્રારંભની સાથે જ મેઘરાજા મન મુકીને વરસતા ચારેય દરફ જળબંબાકારની સ્થિતિ ઉદભવી હતી,છેલ્લા ૧૦ વષૅમાં સૌથી વધુ ૬૫ ઇંચ જેટલો વરસાદ નેત્રંગ તાલુકામાં પડ્યો છે,ભારે વરસાદના પ્રતાપે નેત્રંગ તાલુકામાં રોડ-રસ્તાનું ભારે ધોવાણ થયાના અહેવાલ મળી રહ્યા છે.

જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારથી મારૂતીધામ અને કેલ્વીકુવા ગામને જોડતા રસ્તાનું ભારે ધોવાણ થયું છે, એક-એક ફુટ ઉંડા ખાડા પડી ગયા છે. વાહનચાલકો અને રાહદારીઓ જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા છે,તેવા સંજોગોમાં રોડ-રસ્તાના નિમૉણની કામગીરીમાં ભારે ગોબાચારી થયાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે,આ બાબતે તપાસ થવી જોઈએ,અને જવાબદાર લોકો ઉપર કાયૅવાહીની લોકમાંગ ઉઠી છે.

બીજી તરફ એક-એક ફુટ ઉંડા ખાડા પડવા છતાં જવાબદાર લોકોને ધ્વારા ખાડા પુરવાની અને સમારકામ કરવાની કંઇ જ પડી નથી તેવું લાગી રહ્યું છે.તાત્કાલિક ધોરણે ખાડાનું પુરાણ-સમારકામ થાય તેવી જરૂરિયાત જણાઇ રહી છે.