દ્વારકા, ખંભાળીયાના તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખની પુત્રીએ ઝેરી દવા પી લેતા સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.જેમાં મૃતક યુવતિને તેના ફિયાન્સ સાથે ઝઘડો થયા બાદ ઝેર પી લીધી હોવાનું ખુલ્યુ હતુ.. મૃતકના માતાએ તેની પુત્રીની આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે ભાવિ જમાઇ સાથે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.મૃતક સાથે સોશિયલ મિડીયામાં ફોટા મુકવા સહિતના મુદદે આરોપીએ અવાર નવાર ઝઘડા કરી કથિત ત્રાસ આપતા આ પગલુ ભરી લીઘાનુ પોલીસ ફરિયાદમાં જાહેર થયુ છે. ખંભાળિયામાં ગાયત્રીનગરમાં રહેતા અને ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન જાેશીની પુત્રી હેમાંગીબેનની સગાઇ આરોપી રત્નદિપ રમેશભાઇ ખેતીયા સાથે થઇ હતી જેના થોડા સમય બાદ આરોપી રત્નદીપએ હેમાંગીબેન સાથે નાની નાની વાતોમાં ઝઘડા કરવા લાગતા તેમની સાથે હેમાંગીબેનની સગાઈ તોડી નાખેલ હતી તેમ છતાં આરોપી રત્નદીપએ હેમાંગીબેનને સગાઈ નહિ તોડવા માટે બળજબરી તેમજ દબાણ કરવામાં આવતું હતું. એટલું જ નહીં કોઈ સંબંધી સાથે કોઈ જગ્યાએ જાય ત્યારે પણ તે હેમાંગીબેનને કોઈની સાથે નહિ જવા માટે વારંવાર દબાણ કરાતુ હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. ઉપરાંત તેમાં તેમના સોશ્યલ મીડિયામાં કોઈ ફોટા શેર નહિ કરવા વારંવાર હેમાંગીબેન, ફરિયાદી અને તેના ઘરના સભ્યો સાથે ઝઘડા કરી આરોપી રત્નદીપ દ્વારા ઘરે આવી હેમાંગીબેન સાથે ઝઘડો કરવામાં આવ્યો હોવાનુ પણ જાહેર થયુ છે. આ કથિત માનસિક ત્રાસથી કંટાળી ગયેલી હેમાંગીબેને ગત તા.૦૬ના રોજ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં તેમનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે મૃતકની માતા કિરણબેનની ફરિયાદ પરથી પોલીસે હેમાંગીબેનને મરી જવા મજબૂર કરનાર આરોપી રત્નદીપ રમેશભાઈ ખેતીયા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.