12, જાન્યુઆરી 2021
4158 |
ગાંધીનગર-
આરોગ્ય કર્મચારીઓના ગ્રેડ પે બાબતે રાજ્ય સરકારને આવેદન પાઠવીને સાત દિવસમાં નિર્ણય કરવાની ચીમકી આપી હતી, જોકે કોઈ નિર્ણય ન આવતા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આજથી આંદોલન કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે 16 જાન્યુઆરીથી વેકસીનેશન પ્રક્રિયા શરૂ કરવાની લીલી ઝંડી આપી છે, ત્યારે કર્મચારીઓની હડતાળ પડવાનું નક્કી કર્યું છે, ત્યારે કર્મચારીઓની હડતાળને લઈ વેકસીનેશનની પ્રક્રિયામાં કઈ રીતની અસર પડશે તે જોવું રહ્યું.

આરોગ્ય કર્મચારી મહાસંઘના સંગઠનના પ્રધાન જીગ્નેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય સચિવ અને આરોગ્ય કમિશ્નરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનમાં રાજ્ય સરકાર 7 દિવસની અંદર ગ્રેડ પેમાં સુધારો નહીં કરે, તો રાજ્યના 33 હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરીને સરકારનો વિરોધ કરશે. જોકે, સરકારે કોઈ પ્રકારનો નિર્ણય કર્યો નથી, જ્યારે આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથેની બેઠકમાં પણ કોઈ નિર્ણય આવ્યો નથી. આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ગ્રેડ પેમાં વધારો કરવાની માગ કરવામાં આવી છે. જેમાં વર્તમાન સમયમાં કર્મચારીઓને 1,800 ગ્રેડ પે મળે છે, જે વધારીને 2,800 ગ્રેડ પે કરવાની માંગ કરવામાં આવી છે.રાજ્યના પંચાયત આરોગ્ય કર્મચારીઓએ હડતાળની ચિમકી આપી છે, ત્યારે વેક્સિનની પ્રક્રિયા શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, પંચાયત આરોગ્ય કર્મચારીઓના આંદોલનથી સરકારને કોઈ ફરક નહીં પડે ચૂંટણી આવતી હોવાના કારણે તેઓ આવા આંદોલનો કરતા રહ્યા છે, જ્યારે વેક્સીનેશનની પ્રક્રિયામાં પણ કોઈ જ ફરક નહીં પડે.