પાંડેસરા-

શહેરના પાંડેસરા વિસ્તારમાં એક યુવાનનું બેભાન થયા બાદ શંકાસ્પદ મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. જેમાં યુવાનનું મોત ઈજાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તપાસ હાથ ધરતા પત્નીએ જ દૂરના દિયર સાથે મળી પતિની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી બેકાર પતિ પૈસા માંગી મારઝૂડ કરતો હોય પત્નીએ દૂરના દિયર સાથે મળી હત્યા કર્યા બાદ તેને અકસ્માતમાં ખપાવવા જુઠ્ઠાણું ચલાવ્યું હતું. પાંડેસરા ગોવાલક રોડ પર ક્ષેત્રપાળ સોસાયટીમાં ભાડેના મકાનમાં ગૌરખ ભાનુપ્રસાદ ચૌહાણ પત્ની સાથે રહેતો અને મજૂરીકામ કરતો હતો.

છેલ્લા કેટલાક સમયથી કામ ધંધો કરતો ન હોવાથી પત્ની મજૂરી કરી ગુજરાન ચલાવતી હતી. પતિ પત્નીને મારઝૂડ કરતો હતો. બે દિવસ પતિ-પત્નીનો ઝઘડો થયો અને પતિએ પત્નીને માર માર્યો હતો. જેના કારણે નજીકમાં રહેતો માસી સાસુનો દીકરો રાજેશ પ્રસાદ દોડી આવ્યો હતો અને પતિને માર મારી પત્નીને તેના ઘરે લઈ ગયો હતો. બીજા દિવસે સવારે પત્ની ઘરે આવી તો પતિ પાછો તેને મારવા ઊભો થતા પત્નીને તેના હાથમાંથી લાકડાનો ફટકો લઈ તેને જ મારી દીધો અને તેવામાં પતિનો માસીના દીકરા રાજેશ પ્રસાદે તેને માર માર્યો અને મામલો બેભાનમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

યુવાન ગૌરખના શરીર ઉપર ચકામા હતા અને ઘસરકાના પણ નિશાન મળતા પાંડેસરા પોલીસે શંકાને આધારે તેની પત્ની પુષ્પાદેવી અને તેમના ઘરની નજીક પ્લોટ નં.૩૦ માં રહેતા ગૌરખના માસીયાઈ ભાઈ રાજેશ શત્ર્šઘ્ન પ્રસાદની પુછપરછ કરી તપાસ કરતા તેમના નિવેદનમાં વિરોધાભાસ જણાયો હતો. દરમિયાન, પોસ્ટમોર્ટમમાં ગૌરખનું મોત ઇજાને લીધે થયું હોવાનો ખુલાસો થતા પોલીસે પુષ્પાદેવી અને તેના દૂરના દિયર રાજેશની ઉલટતપાસ કરતા બંનેએ ગૌરખની હત્યા કરી તેને અકસ્માતમાં ખપાવવા કારસો ઘડ્યાની કબૂલાત કરી હતી.