વડોદરા-

આજકાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં મહિલાઓ પર દુષ્કર્મના કેસો વધતા જાય છે. કાયદાનો જાણે કોઈને ડર જ ના રહ્યો હોય તેમ આરોપીઓ સરેઆમ એક પછી એક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે હાલ વડોદરાના તાંત્રિક હિરેન પુરોહિતે વિધિના બહાને અનેક યુવતીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો થયો છે. વડોદરાના તરસાલી શરદનગરમાં રહેતાં તાંત્રિકે જુદી- જુદી વીધિ કરવાના બહાને અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરના અનેક પરિવારોને પોતાની જાળમાં ફસાવીને કરોડો રૂપિયા હડપ કરવાની સાથે કેટલીક યુવતીઓ સાથે દુષ્કર્મ કર્યુ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

જેમાં વડોદરાની એક પરિણીતા પણ તાંત્રિકના દુષ્કર્મનો શિકાર બની છે. ઉપરાંત તેમની સાથે રૂ. ૩૧ લાખની ઠગાઈ કરતાં ભાવનગર પોલીસે ફરિયાદના આધારે તાંત્રિકની ધરપકડ કરી તેના કોર્ટમાંથી પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવ્યાં છે. આ તાંત્રિક વડોદરાના બીલ ખાતે આવેલા આસારામના આશ્રમમાં પણ વીધિ કરવા જતો હતો. પાખંડી હિરેન નરેન્દ્ર પુરોહિતે લગ્ન ન થતાં હોય, ધંધામાં નુકસાન, પરિવાર વચ્ચેનો વિવાદ, પ્રોપર્ટી વિવાદ, પતિ કે પત્નીના અનૈતિક સબંધો, પુત્રની પ્રાપ્તિ થતી ન હોય તેવા લોકોને વીધિથી કામ કરી આપવાનું કહી જાસામાં લેતો હતો.

હિરેન આસારામના બીલ ખાતેના આશ્રમમાં વિધિ કરવા જતો હોવાથી તાંત્રિક વીધિનો ભય બતાવી લોકો પાસેથી પૈસા અને સોનું કેવી રીતે પડાવવું તેની માસ્ટરી આવી ગઈ હતી. આ પાખંડી તેનો સંપર્ક કરનાર પરિવારની સુંદર યુવતીને જાેઈ તેના પર દાનત બગાડતો હતો. યુવતીને પોતાની જાળમાં ફસાવવા તેના પરિવારને માનસિક રીતે તોડી નાંખતો હતો. ત્યારબાદ હિરેન પરિવારના સભ્યો વચ્ચે જ કોઈને કોઈ બાબતે ઝઘડા કરાવી તેમને વિખુટા પાડી દેતો હતો. તે પછી બ્લેમેઈલ કરીને રૂપિયાની સાથે દાગીના પણ પડાવી લેતો હતો.