નડિયાદ : સમગ્ર દેશમાં તેમજ ગુજરાત રાજયમાં કોવિડ-૧૯ની અસરોને ધ્યાને લેતાં ખેડા જિલ્લામાં આ મહામારીને કાબૂમાં રાખી શકાય તે હેતુથી જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ દ્વારા જિલ્લા કલેકટર કચેરીના સ્ટાફને કોવિડ-૧૯ની જાગૃતિ અંગે શપથ-પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.  

આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, આ મહામારીને અટકાવવા અંગે પ્રજામાં જાગૃતિ કેળવાય અને લોકો માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધૂએ, સેનિટાઇઝરનો ઉપયોગ કરે અને એકબીજા વચ્ચે ૬ ફૂટનું અંતર જાળવે તે બહુ જ જરૂરી છે. આને જન આંદોલનના ભાગરૂપે આજે સમગ્ર ખેડા જિલ્લામાં શપથ-પ્રતિજ્ઞાનું સરકારી કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ કોર્પોરેશનો, નિગમો, જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, ધર્મગુરુઓ, અગ્રણીઓ, મહાજનો અને સમાજના તમામ વર્ગોના લોકોએ જાેડાઇને પ્રતિજ્ઞા લીધી હતી. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલાં શપથ-પ્રતિજ્ઞા કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, પ્રાંત અધિકારી, મામલતદારો તથા કચેરીનો તમામ સ્ટાક જાેડાયો હતો.