ભાવનગર ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં રહેતા બે શખ્સો અને એક મહિલા વિરૂદ્ધ આજથી એક વર્ષ પૂર્વે મહિલા પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂએ શારીરિક-માનસિક ત્રાસ સાથે દહેજ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી. આ ફરિયાદ બાદ આરોપી સાસરીયાંઓ નાસતા ફરતાં હોવાથી તેમને એલસીબીની ટીમે અમદાવાદથી ઝડપી જેલને હવાલે કર્યાં હતાં.

સમગ્ર બનાવ અંગે એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કણબીવાડ વિસ્તારમાં આવેલી બંબાખાના વાળી શેરીમાં રહેતા વૈભવ રાજેશ શેઠની પત્નીએ એક વર્ષ પહેલાં મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વૈભવ, સાસુ જીગીશા તથા સસરા રાજેશ બટુક શેઠ વિરૂદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ આરોપીઓ પોલીસને ચકમો આપી નાસતા ફરતા હતા. જે અંગે એલસીબીને માહિતી મળી હતી કે આરોપીઓ હાલ અમદાવાદમાં રહે છે. જે હકીકતના આધારે ટીમે સાબરમતી વિસ્તારમાં આવેલા હર્ષનગર પ્લોટનં-૪/બી વારાહી બસ સ્ટેન્ડ પાસે રહેતા તમામ આરોપીઓને ઝડપી લીધા હતા.