દિલ્હી-

દિલ્હીમાં ૯ વર્ષની દલિત બાળકી સાથે રેપ અને હત્યાના મામલામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે પીડિત પરિવારની મુલાકાત કરી છે. આ મુલાકાત પછી રાહુલે કહ્યું કે પીડિતા પરિવાર ન્યાય ઈચ્છે છે, તેમને બીજુ કઈ જાેઈતુ નથી. પીડિત પરિવારનું કહેવું છે કે તેમની સાથે ન્યાય થઈ રહ્યો નથી, આ કારણે તેમને મદદની જરૂરિયાત છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ન્યાય મળવા સુધી અમે તેમની સાથે ઉભા રહીશું.

બીજી તરફ સ્થાનિક લોકો પણ આ ઘટનાના વિરોધમાં રવિવારે રાતથી જ દેખાવો કરી રહ્યાં છે. આ મામલો દિલ્હીના ઓલ્ડ નાંગલ ગામનો છે. જ્યાં સ્મશાનના વોટર કુલરમાંથી પાણી લેવા ગયેલી ૯ વર્ષની દલિત બાળકી પર રેપ થયો અને તેની હત્યા કરવામાં આવી. આ મામલામાં સ્મશાનના પુજરી રાધેશ્યામ સહિત ૪ લોકો આરોપી છે. બાળકીની માતાનું કહેવું છે કે આરોપીઓએ તેમની મરજી વગર બાળકીના અંતિમ સંસ્કાર પણ કરી દીધા. પુજારી અને તેના કેટલાક સાથીઓએ બાળકીના ઘરના સભ્યોને બોલાવીને કહ્યું હતું કે વોટર કુલરમાંથી પાણી ભરતી વખતે કરન્ટ લાગવાથી બાળકીનું મૃત્યુ થયું છે. તેમણે બાળકીની માતાને કહ્યું કે પોલીસને જાણ કરી નથી નહિતર પોસ્ટમોર્ટમ થશે અને તેના અંગ કાઢી નાંખવામાં આવશે. આમ કહીને ઓરોપીઓએ બાળકીના અંતિમ-સંસ્કાર કરી દીધા હતા. ભીમ આર્મીના ચીફ ચંદ્ર શેખરે પણ પીડિત પરિવારની મુલાકાત કરી છે અને કહ્યું, તેમનું સંગઠન બાળકીને ન્યાય અપાવવા માટે થઈ રહેલા દેખાવમાં સામેલ થશે.