દિલ્હી-

કોરોના સામેની લડાઈ દરમિયાન દેશ સતત પોતાની આરોગ્ય સુવિધાઓમાં સુધારો કરી રહ્યો છે. સારી બાબત એ છે કે દેશમાં જ્યાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 9,90,061 છે તો અત્યાર સુધી 38,59,399 કોરોના દર્દી સાજા થઈ ચુક્યા છે. આટલી મોટી સંખ્યામાં વિશ્વના કોઈ પણ દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થયા નથી. આરોગ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. 

આરોગ્ય મંત્રાલય પ્રમાણે, અત્યાર સુધી દેશમાં 5 કરોડ 80 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યુ કે, પાછલા સપ્તાહે 76 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો એક્ટિવ કેસની સંખ્યા દેશના કુલ કેસના માત્ર 1/5 છે. તેમણે કહ્યું, દેશમાં 5 રાજ્યો એવા છે જેમાં દેશના કુલ એક્ટિવ કેસના 60 ટકા કેસો છે. દેશભરમાં કુલ એક્ટિવ કેસોમાં મહારાષ્ટ્રમાં 29% થી વધુ, આંધ્ર પ્રદેશમાં લગભગ 9 ટકા, કર્ણાટકમાં 10 ટકા, ઉત્તર પ્રદેશમાં 6.8 ટકા અને તમિલનાડુમાં લગભગ 4.7 ટકા કેસ છે.