અમદાવાદ, રાજ્યમાં કોરોના વાયરસનો કહેર તો મહંદ અંશે ઓસરી ગયો છે, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે ભાજપના નેતાઓને કોરોનાએ ભરડામાં લીધા છે. સીએમ વિજય રૂપાણીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સભામાં હાજર અનેક નેતાઓનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. હાલ સીએમ વિજય રૂપાણી બાદ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડના વધુ એક સભ્ય કોરોના પોઝિટીવ આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરને કોરોના થયો છે અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે ભાજપ પાર્લાંમેન્ટ્રી બોર્ડની બેઠકમાં ભાભોર હાજર હતા. આ બેઠકના ચાર સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. તમને જણાવી દઈએ કે સીએમ વિજય રૂપાણી બાદ ભાજપના નેતા ભીખુ દલસાણિયા, વિનોદ ચાવડાને કોરોના થયો છે.

આ સિવાય સીએમ વિજય રૂપાણીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તમામ નેતાઓનો કોરોનો રિપોર્ટ કરાવવામાં આવી રહ્યો છે. હાલ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનો સમાચાર મળી રહ્યા છે. સીએમ રૂપાણીને કોરોના પોઝિટીવ આવતા સંપર્કમાં આવેલા નીતિન પટેલે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ટિ્‌વટ કરીને માહિતી આપી છે અને લખ્યું છે કે સીએમના સંપર્કમાં આવ્યા હોવાથી ટેસ્ટ કરાવ્યો છે. ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે ટિ્‌વટ કર્યું છે કે, મારો કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ તા.૧૫.૦૨.૨૦૨૧ ને સોમવારના રોજ કરાવેલ છે.

જેનો રિપોર્ટ ભગવાનના આશીર્વાદથી અને આપ સર્વેની શુભેચ્છાથી નેગેટીવ આવેલ છે. સીએમ વિજય રૂપાણી કોરોના પોઝિટિવ આવતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સુધારા પર છે. આજે તેમના હેલ્થ બુલેટિનમાં જાણવા મળ્યું છે કે વિજય રૂપાણીને કોરોનામાં પ્રાણદાયક બનેલું રેમડીસીવર ઈન્જેક્શન આપવામાં આવ્યું છે. વિજય રૂપાણીનો આજે સીટી સ્કેન બાદ શરીરમાં કોરોના વાયરસનો લોડ વધતાં રેમડીસીવર ઈન્જેક્શન અપાયું છે. આ ઈન્જેક્શન સીએમને ઝડપથી રિકવરી આવે તે માટે આપવામાં આવ્યું છે. સીએમ રૂપાણીને ઝડપી રિકવરી કરાવવા માટે ઈન્જેક્શનનો કોર્સ કરવાનો ર્નિણય લેવાયો છે. રૂપાણીની સારસંભાળ માટે ૧૦ સિનિયર તબીબની ટીમ ઉભા પગે કામ કરી રહી છે.