દિલ્હી-

રિઝર્વ બેન્કે બેન્કો સાથે થતી છેતરપિંડી રોકવા અને ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકા જારી કરી છે. હાલની વ્યવસ્થા મુજબ બેન્ક ગ્રાહક પાસેથી એક વખત મંજૂરી લઈને દર મહિને કોઈ જાણકારી આપ્યા વગર ગ્રાહકના ખાતામાંથી આ રકમ કાપી લે છે. તેના લીધે છેતરપિંડીની સંભાવના ઘણી ઓછી રહે છે. આ તકલીફને ખતમ કરવા માટે જ આ ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલી ઓક્ટોબરથી ઓટો ડેબિટ સિસ્ટમમાં મોટાપાયા પર ફેરફાર થવા જઈ રહ્યો છે. આ જ દિવસથી નવી ઓટો ડેબિટ સિસ્ટમ લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. આ નિયમ હેઠળ બેન્ક, ડેબિડ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઇ, પેટીએમ, ફોનપે જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મે ગ્રાહકના ખાતામાંથી હપ્તો કે બિલ કાપતા પહેલા દર વખતે મંજૂરી લેવી પડશે. તેમણે આ માટે પોતાની સિસ્ટમમાં એ રીતે ફેરફાર કરવાના છે કે એક વખત મંજૂરી મળ્યા પછી તેઓ વારંવાર તમારા રુપિયા કાપતા ન રહે.

રિઝર્વ બેન્ક પહેલા જ કહી ચૂકી છે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઇ કે પ્રીપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રૂમેન્ટ્‌સ (પીપીઆઇ)નો ઉપયોગ કરનારાએ રિકરિંગ ટ્રાન્ઝેક્શન્સ માટે વધારાના ફેક્ટર ઓથેન્ટિકેશનની જરુર પડશે. ઓટો ડેબિટ એટલે કે તમે પોતાના મોબાઇલ એપ કે ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા વીજળી, ગેસ, એલઆઇસી કે અન્ય કોઈ ખર્ચાને ઓટો ડેબિટ મોડમાં નાખ્યો હોય તો એક નિશ્ચિત તારીખે આ રકમ આપમેળે તમારા ખાતામાંથી કપાઈ જશે. હવે ઓટો ડેબિટનો નવો નિયમ લાગુ પડયો તો તમારી બિલ ચૂકવણીની પદ્ધતિ પર અસર પડશે. આ સગવડનો લાભ લેવા માટે તમારો એક્ટિવ મોબાઇલ નંબર બેન્કમાં અપડેટ થવો જરુરી છે. આમ કરવું જરુરી એટલા માટે છે કેમકે મોબાઇલ નંબર પર જ ઓટો ડેબિટ સાથે જાેડાયેલ નોટિફિકેશન એસએમએસ દ્વારા મોકલવામાં આવશે. નવો નિયમ લાગુ થયા પછી બેન્કોએ ચૂકવણીની અંતિમ તારીખના પાંચ દિવસ પહેલા નોટિફિકેશન મોકલવું પડશે. પેમેન્ટના ૨૪ કલાક પહેલા રિમાઇન્ડર મોકલવું પડશે. રિમાઇન્ડરમાં પેમેન્ટની રકમ અને તારીખની જાણકારી હશે. તેમા ઓપ્ટ આઉટ કે પાર્ટ-પેનો વિકલ્પ પણ હશે. આ નિયમ પહેલી ઓક્ટોબરથી લાગુ પડશે. આ ઉપરાંત પાંચ હજારથી વધારે રકમની ચૂકવણી પર ઓટીપી અનિવાર્ય કરી દેવાયો છે.