15, ફેબ્રુઆરી 2021
દિલ્હી-
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કાર્યાલયોમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવાને અનુલક્ષીને નવી માનક સંચાલન પ્રક્રિયા જાહેર કરી છે. તે મુજબ જાે કાર્યાલયોમાં સંક્રમણના માત્ર એક કે બે કેસ જ સામે આવે તો જે વિસ્તારમાં છેલ્લા 48 કલાકમાં કોરોના સંક્રમિતની ગતિવિધિઓ રહી હોય, માત્ર તેટલા ભાગને જ સેનિટાઈઝ કરવાની જરૂર પડશે.
શનિવારે જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે નિર્ધારિત નિયમો પ્રમાણે સેનિટાઈઝેશન કર્યા બાદ કાર્ય શરૂ કરી શકાશે. પરંતુ જાે કાર્યસ્થળ પર કોરોનાના અનેક કેસ સામે આવે તો સંપૂર્ણ ઈમારત કે બ્લોકને સેનિટાઈઝ કરવાની પ્રક્રિયા કરવી પડશે અને ત્યાર બાદ જ કાર્ય શરૂ કરી શકાશે. નવી ગાઇડ લાઇન પ્રમાણે પ્રતિબંધિત ઝોનમાં રહેતા અધિકારીઓ અને કર્મચારીઓએ આ અંગે પોતાના વરિષ્ઠ અધિકારીને જાણ કરવી પડશે અને જ્યાં સુધી તેમનો વિસ્તાર પ્રતિબંધિત ઝોનની શ્રેણીમાંથી બહાર ન આવી જાય ત્યાં સુધી કાર્યાલય ન આવવું જાેઈએ. સાથે જ આવા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી મળવી જાેઈએ.
ઉપરાંત પ્રતિબંધિત વિસ્તારોમાં આવતા કાર્યાલયો બંધ જ રહેશે. તેના સિવાય માત્ર લક્ષણો ન ધરાવતા કર્મચારીઓ અને આંગતુકોને જ કાર્યાલયમાં પ્રવેશની અનુમતિ અપાવી જાેઈએ. એસઓપીમાં કોવિડ-19થી બચવાના ઉપાયોનું ચુસ્ત પાલન કરવા પર પણ જાેર અપાયું છે.