દિલ્હી-

દેશમાં ફેલાયેલી બેરોજગારીની સમસ્યા અને વધી રહેલી મોંઘવારી સામે કોંગ્રેસ પાર્ટી આવતી ૭ જુલાઈથી ૧૦-દિવસ સુધી રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે. તે દરમિયાન પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ જિલ્લા સ્તરે સાઈકલ યાત્રા કાઢશે. રાજ્ય સ્તરે કૂચ અને મોરચાઓનું આયોજન કરવામાં આવશે.

કોંગ્રેસ પાર્ટીએ બહાર પાડેલા એક નિવેદનમાં જણાવાયું છે કે કોરોનાવાઈરસ રોગચાળાને કારણે પહેલેથી જ તકલીફ ભોગવી રહેલા લોકોની હાલત જાેઈને દુઃખ થાય છે. એમાં નિરંકુશ બેરોજગારી અને પગાર-કાપ જેવી સમસ્યાઓએ લોકોનું જીવન દુષ્કર કરી દીધું છે. તેથી કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે તે રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તરે રાષ્ટ્રવ્યાપી આંદોલન કાર્યક્રમો શરૂ કરશે. આ કાર્યક્રમોનો અમલ પક્ષના રાજ્ય એકમો ૭ જુલાઈથી કરશે અને તે ૧૭ જુલાઈથી ચાલુ રખાશે. આ આંદોલનમાં પક્ષનાન નેતાઓ, મહિલા કોંગ્રેસનાં નેતાઓ અને સભ્યો તથા દેશભરમાં પક્ષના અસંખ્ય સામાન્ય કાર્યકર્તાઓ પણ જાેડાશે. ઘણા રાજ્યોમાં ઈંધણની કિંમત પ્રતિ લીટર રૂ. ૧૦૦ને પાર કરી ગઈ છે. ઈંધણના ભાવમાં ઘટાડો કરવાની માગણી સાથે કોંગ્રેસ પાર્ટી તમામ પેટ્રોલ પમ્પ્સ ખાતે સહીઝુંબેશ હાથ ધરશે.