અમદાવાદ, શહેરમાં રખડતા ઢોર અંગે શહેર પોલીસ કમિશ્નર એક્શન મોડમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. રખડતા ઢોરના ત્રાસ અંગે કમિશ્નરે મહત્વપૂર્ણ જાહેરનામુ બહાર પાડ્યું હતું.જેમાં હાઈકોર્ટ આસપાસના વિસ્તારને નો-કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.બીજીબાજુ ૬૦ દિવસમાં ઢોરને ચીપ લગાવવા આદેશ આપવામાં આવ્યો છે. રખડતા ઢોરને કારણે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા થતી હોવાથી અકસ્માત માટે પશુના માલિક જવાબદાર હોવાનું કહેવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે આ આદેશના ભંગ કરનારા સાથે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.શહેરમાં રખડતા પશુઓના ઉપદ્રવને કારણે ગંભીર અકસ્માતો , ટ્રાફિકની સમસ્યા અને ગ્રીન પેચને નુકશાન થવાના કિસ્સા બને છે. જેથી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ સમસ્યાના કાયમી નિકાકરણ મામલે હવે આદેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વસવાટ કરતા ગૌપાલકોએ તેમની માલિકીના પશુઓમાં આગામી ૬૦ દિવસની અંદર ટેપ અને ચીપ ફરજિયાત લગાવવી તેમજ પશુઓની માલિકીના ફેરબદલ અંગે પણ મ્યુનિલપલ કોર્પોરેશનના સંલગ્ન વિભાગને જાણ કરવી. જ્યારે આદેશનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.