રાજકોટ-

ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટમાં દિવાળી બાદ કોરોના પોઝિટિવ કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યૂ લાદવામાં આવ્યો છે. જ્યારે દિવાળી બાદ લગ્નની સિઝન હોવાથી શહેરમાં વસવાટ કરતા લોકો પણ રાત્રી કરફ્યુને લઈ મુંજાયા હતા. ત્યારે હવે શહેર પોલીસ દ્વારા કરફ્યુ દરમિયાન લગ્ન કરવા ઇચ્છુક લોકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ આ મામલે જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ રાજકોટમાં દિવસ દરમિયાન લગ્ન કરતા લોકોને હવેથી પોલીસની મંજૂરી લેવી પડશે નહિ, પરંતુ તેમને રાત્રે 9 વાગ્યા પહેલા જ લગ્નની તમામ વિધિ પૂર્ણ કરીને પોતાના ઘરે પહોંચી જવું પડશે. આથી રાજકોટમાં હાલ કરફ્યુના માહોલમાં જે લોકો લગ્ન કરી રહ્યા છે તેમને પોલીસની મંજૂરી લેવી પડશે નહિ. જ્યારે બીજા નીતિ નિયમ અગાઉ મુજબ યથાવત રાખવામાં આવ્યા છે.

રાજકોટ પોલીસ દ્વારા શહેરમાં લગ્ન કરવા ઇચ્છુક લોકોને દિવસ દરમિયાન યોજાતા લગ્ન માટે મંજૂરીની જરુર ન હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જાહેર કરવામાં આવ્યું છે કે, શહેરમાં કામ કરનારા અને લગ્નમાં હાજર તમામ લોકો મળીને 100 લોકો જ થવા જોઈએ. લગ્ન માટે કરફ્યુ દરમિયાન એટકે કે રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કોઈ જ પ્રકારની છૂટ આપવામાં આવી નથી. લગ્નમાં ભાગ લેનારા અને લગ્નમાં કામ કરનારા તમામ વ્યક્તિઓએ રાતના 9 વાગ્યા પહેલાજ પોતાના ઘરે પહોંચી જવું અથવા પોલીસ દ્વારા તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે પોલીસ દ્વારા પણ શહેરના યોજાતા લગ્ન પ્રસંગ પર નજર રાખવામાં આવશે અને જરૂર જણાશે તો રસોયા તેમજ લગ્નમાં કામ કરનારા લોકોની પૂછપરછ પણ કરવામાં આવશે.