રાજકોટ, આજથી રાજકોટ સહિત સર્વત્ર દિવાળીના તહેવારોનો માહોલ છવાયો છે. સર્વત્ર ફેસ્ટિવલ મૂડ નજરે પડવા લાગ્યો છે. ખાસ કરીને તહેવારોમાં વતન જવા માગતા લોકોનો ભારે ધસારો બસ સ્ટેશનો ઉપર પણ દેખાવા લાગ્યો છે. આજરોજ સવારથી રાજકોટ એસટી બસપોર્ટ અને રાજકોટ ડિવિઝનના ૯ ડેપો પર મુસાફરોની ભીડ જાેવા મળી હતી. આજથી એસટી વિભાગ દ્વારા ૧૫૦ જેટલી એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવનાર છે. લોકોની ભીડમાં વધારો થતાં મોટાભાગની બસોનાં બુકિંગ ફૂલ થયા હતા. ૫૦ કરતા વધારે મુસાફરો કોઈ સ્થળે જવા ઇચ્છશે તો એક્સ્ટ્રા બસ મૂકવાની તૈયારી એસટી વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. એસટી વિભાગના ટ્રાફિક કંટ્રોલર વી.બી. ડાંગરનાં જણાવ્યા મુજબ હાલ દિવાળીનાં તહેવારને લઈને લોકોની ભારે ભીડ જાેવા મળી રહી છે. જેમાં દાહોદ, ગોધરા અને સુરતના રૂટો ઉપર સૌથી વધુ ટ્રાફિક જાેવા મળતા હાલ ૭૦ જેટલી એક્સ્ટ્રા બસો શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ટૂંક સમયમાં સૌરાષ્ટ્રનાં જામનગર, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, અમરેલી, સાવરકુંડલા અને સાળંગપુર સહિતના સ્થળોએ પણ ૮૦ જેટલી વધારાની બસો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. એટલું જ નહીં જરૂર પ્રમાણે એક્સ્ટ્રા બસો મૂકવાની તૈયારી પણ કરવામાં આવી છે. જેમાં ૫૦ કરતા વધારે મુસાફરો કોઈ સ્થળે જવા ઇચ્છશે તો એક્સ્ટ્રા બસ મૂકવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એસટી વિભાગ દ્વારા યુપીઆઈ દ્વારા પેમેન્ટ પણ સ્વીકારવામાં આવી રહ્યું છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરરોજ અંદાજે રૂ. ૩ લાખ કરતા વધુ રકમનું પેમેન્ટ યુપીઆઈ મારફત મળી રહ્યું છે. આ તહેવારોમાં મુસાફરોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય નહીં તેમજ એસટી વિભાગને સારી આવક થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મુસાફરોને કોઈ પણ પ્રકારની અગવડ ન થાય તે માટે એકસ્ટ્રા સંચાલનના ભાગરૂપે રાજકોટ એસટી વિભાગના ૧૦ જેટલા સુપરવાઈઝરોને એકસ્ટ્રા સંચાલન માટે ખાસ વધારાની ફરજ સોંપવામાં આવી છે. દરેક ડ્રાઈવર અને કંડક્ટરોને ટ્રીપોની ફાળવણી પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગુજરાત રાજ્યમાં એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારો અનુસંધાને ૨૨૦૦ જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે અને મોટી સંખ્યામાં લોકો દ્વારા તેનો લાભ લેવામાં આવી રહ્યો છે.