આણંદ : આશરે ત્રણ દાયકાની લડત બાદ છેલ્લાં બે વર્ષથી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જાેડતંુ તુલસી ગરનાળું પહોળું કરવાનું કાર્ય પૂર્ણતાને આરે હોય હવે ગરનાળાને કાયાર્ન્વિત કરાવી શીરપાવ લેવા નેતાઓમાં હોડ લાગી છે. જાેકે, તેની પાછળનું કારણ પાલિકામાં મલાઇદાર કમિટીમાં ઉચ્ચ પદ મેળવવાનો ખેલ હોવાનું પણ કહેવાય રહ્યું છે.

મળતી માહિતી અનુસાર શહેરના પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારમાંથી વાહનોની સરળતાથી આવાગમન થઇ શકે તેવાં આશયથી ત્રણ દાયકાથી તુલસી ગરનાળાને પહોળું કરવાની માગ ઉઠવા પામી હતી. જેનાં પગલે પૂર્વ કેન્દ્રીય રેલ મંત્રી ભરતસિંહ સોલંકીએ આ મુદ્દે ૫.૮૫ કરોડની જે-તે સમયે ગ્રાન્ટ ફાળવી હતી. જાેકે, તેમનાં પદગમન સાથે તંત્ર દ્વારા ગ્રાન્ટ ગાય ચરી ગયાંની શંકા ઊઠતાં ગામડી વિસ્તારના જાગૃત નાગરિક અતુલ કોલી દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી. આ આરટીઆઇમાં સત્ય ઉજાગર થતાં રેલવે દ્વારા બે વર્ષ પૂર્વ પુનઃ કાર્યવાહી હાથ ધરી ગરનાળંુ પહોળું કરવાનું મંજૂર કરતાં તે સમયે સ્થાનિક નેતાઓ જશ લેવા દોડી ગયાં હતાં.

હવે બે વર્ષ બાદ ગરનાળું પહોળું કરવાનું કાર્ય પૂર્ણતાને આરે છે ત્યારે તાજેતરમાં પાલિકાના ચૂંટણી જંગમાં વિજયી થયાં બાદ પાલિકાની મલાઇદાર કમિટીમાં ઉચ્ચ પદ મેળવવા વિવિધ નેતાઓ દ્વારા તુલસી ગરનાળાને પહોળું કરાવવામાં તેઓનો હાથ હોવાના દાવા કરી શીરપાવ મેળવવાના ખેલ શરૂ થયાં છે. જાેકે, આ કારણે સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે, મહેનત કોઇની અને ફળ કોઇ પામે એવો ઘાટ રચાયો છે.