રાજયસભા-ચૂંટણીમાં BJPના 2 ઉમેદવાર જીતવાની પ્રબળ શકયતાઓ, જાણો શું છે કારણ
16, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

રાજ્યસભામાં સંસદસભ્ય અભય ભારદ્વાજ અને અહેમદ પટેલના નિધન પછી રાજ્યસભામાં ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પહેલી માર્ચે રાજ્યસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. જેથી ભાજપે રાજ્યસભાની ખાલી પડેલી બેઠેકો પર બે ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. ભાજપે આ વખતે પણ બંને બેઠકો પર નવાં જ નામો જાહેર કર્યાં છે. ભાજપે રાજ્યસભાની બે બેઠકો પર દિનેશભાઇ જેમલભાઇ પ્રજાપતિ અને રામભાઇ મોકરિયાનું નામ જાહેર કર્યું છે.

ભાજપના બે ઉમેદવારોમાંથી એક સૌરાષ્ટ્રના છે અને બીજા ઉત્તર ગુજરાતમાંથી જાહેર કરવામાં આવ્યા છે. દિનેશ પ્રજાપતિ બનાસકાંઠાના છે. તેઓ તેઓ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી, જિલ્લા ભાજપ પૂર્વ યુવા મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ બક્ષી પંચ મોરચાના પ્રમુખ છે.

હાલમાં રાજકીય વર્તુળોમાં તેવી ચર્ચા ચાલી રહી છે કે, બંને બેઠક પર ભાજપ પોતાના બે ઉમેદવાર રાજ્યસભામાં મોકલવા માટે સફળ થશે, કેમ કે કોંગ્રેસના ઉમેદવાર રાજ્યસભાની ચૂંટણીમાં જીતવાની સ્થિતિમાં નથી. કોંગ્રેસ પાસે રાજ્યસભામાં જિતાડવા માટે સંખ્યાબળ પૂરતું ના હોવાથી કોંગ્રેસ રાજ્યસભામાં ઉમેદવાર ઉતારે એવી શક્યતા નથી. રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક છે. એ પૈકી ભાજપ પાસે હાલ સાત બેઠકો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution