અમદાવાદ-

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના મહાનાયક કહેવાતા એવા દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું 77 વર્ષે નિધન થયું છે. અભિનેતા કોરોના સંક્રમિત હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. ઢોલીવુડના લોકપ્રિય અને દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયા કોરોના સામે લડી રહ્યાં હતાં. કોરોના સંક્રમિત હોવાથી યુએન મહેતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન 77 વર્ષની વયે હોસ્પિટલમાં જ તેમણે અંતિન શ્વાસ લીધા. સુપરસ્ટાર નરેશ કનોડિયાના ભાઈ ખ્યાતનામ ગુજરાતી ગાયક અને સંગીતકાર મહેશ કનોડિયાનું પણ તાજેતરમાં નિધન થયું હતું. તેમના નિધનનો શોક છે એમાં આ સમાચર સાંભળતા પરિવારમાં અને ફેન્સમાં ગમગીનીનો માહોલ છવાયો છે. 


તેમનો જન્મ મહેસાણાના કનોડા ગામે ૨૦ ઓગસ્ટ ૧૯૪૩ના રોજ થયો હતો. તેમની પત્નીનું નામ રીમા છે. તેઓ ખ્યાતનામ ગુજરાતી ગાયક અને સંગીતકાર મહેશ કનોડિયાના નાનાભાઈ છે. તેમની સાથે તેઓ ઘણાં ગુજરાતી ચલચિત્રોમાં સંગીતકાર મહેશ-નરેશ તરીકે પણ સંગીત આપી ચુક્યા છે. નરેસ કનોડિયાએ મહેશકુમાર એન્ડ પાર્ટીમાં જોની જૂનિયરના ઉપનામે છેલ્લાં ચાલીસેક વર્ષોથી રજૂઆત કરતા આવ્યા છે. નરેશ કનોડિયાની કારકિર્દીનો વ્યાપ આશરે ૪૦ વર્ષોનો છે. આ દરમિયાન તેમણે ઘણી અભિનેત્રીઓ જેવી કે, સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક વગેરે જેવી ૭૨ અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. તેમણે કારકિર્દીની શરૂઆત ચલચિત્ર 'વેલીને આવ્યા ફૂલ' થી કરી હતી.


નરેશ કનોડિયાના કેટલાંક જાણીતા ચલચિત્રોમાં 'જોગ સંજોગ', 'કંકુની કિંમત', 'ઢોલામારૂ', 'મેરૂમાલણ', 'વણજારી વાવ', 'જુગલ જોડી' વગેરે છે. તેમણે ૧૨૫ ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને ૧૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમનો પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ચલચિત્રનો કલાકાર છે. નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણકુમાર વગેરે સાથે ગુજરાતી ચલચિત્ર જગતની એ જુની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જેણે ૧૯૮૦ અને ૧૯૯૦નાં દાયકામાં ઘણાં સફળ ચલચિત્રો આપ્યાં. નરેશ કનોડિયા ગુજરાતના કરજણ વિધાનસભા મતક્ષેત્રમાંથી વિધાન સભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. હાલ તેમના પુત્ર હિતુ કનોડિયા પણ રાજકારણ સાથે જોડાયેલા છે.