અમદાવાદ-

અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડની અસર જોવા મળી છે. વાવાઝોડું બપોરના 12 વાગ્યા પછી અમદાવાદ જિલ્લાને સ્પર્શી શકે છે. જેથી અમદાવાદના વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. તાઉ-તે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં મોટી તારાજી સર્જાઈ છે. તાઉ-તેએ સૌરાષ્ટ્રને ધમરોળતા મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફ કેરીના પાકને મોટું નુકસાન થયું છે. જેથી ખેડૂતોની ચિંતા પણ વધી છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં તાઉ'તે વાવાઝોડાની સંભવિત અસરોના કારણે આગામી 6થી 8 કલાક મહત્વના છે. શહેરમાં અત્યારે 38 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. મ્યુનિસિપલ મુકેશકુમારે અને જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ અમદાવાદીઓ અને જિલ્લાના લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. શહેરમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સતત પવનની ગતિ વધી રહી છે. જેના પગલે ઝાડ ધરાશાયી તેમજ કેટલાક વિસ્તારોમાં છાપરા ઉડ્યાની ઘટના બની છે. અમદાવાદ કલેક્ટરના જણાવ્યા મુજબ 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.