એગ્રીસ્ટેક અને ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ટેકનિકલ ખામી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
22, નવેમ્બર 2024 1089   |  

ગાંધીનગર, રાજ્યના ખેડૂત ખાતેદારોની જમીનની વિગતોની નોંધણી કરાવવાનું ફરજિયાત કરાયું છે. જાે કે, આ જમીન નોંધણી માટે તેમની પ્રવર્તમાન જમીનની વિગતો રજૂ કરવાની રહે છે. પરંતુ રાજયમાં હજારો ખેડૂતો તેમની જમીનના સર્વે થયેલા ગોટાળાને લઈને પ્રમોલગેશનની અરજીઓ કરીને નવેસરથી સર્વે કરવાની માંગણી કરાઇ છે. ત્યારે જાે ખેડૂતો આ જમીન નોંધણીમાં પોતાની પ્રવર્તમાન જમીનની વિગતો રજૂ કરે તો સત્તાવાર બની જાય તેમ છે, જેને લઈને ખેડૂતો દ્વારા આ બાબતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવા સંજાેગોમાં ખેડૂતોની જમીન નોંધણી માટેના એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં તકનીકી ખામી સર્જાઈ છે. જેના કારણે ખેડૂતોની જમીન નોંધણી માટેની કાર્યવાહી થઈ શકશે નહીં. ખામી દૂર થતાં જમીન નોંધણીની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવશે. ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના જમીન રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લિંક કરવા માટે ગત તા. ૧૫ ઓક્ટોબરથી ખેડૂત નોંધણી (ફાર્મર રજિસ્ટ્રી) શરૂ કરવામાં આવી છે. આ નોંધણી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે. જેમાં ખેડૂતોની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈ.ડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળ, પારદર્શક અને સમયસર મળશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨.૫ લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી છે. ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી તા. ૨૫-૦૩-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તા. ૨૫-૧૧-૨૦૨૪ પહેલા ફાર્મર રજિસ્ટ્રી ફરજીયાતપણે પૂર્ણ કરવા જણાવાયું હતું. પરંતુ હાલમાં ગુજરાતના ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે નોંધણી થઈ શકશે નહિ. ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરીને નોંધણી પ્રક્રિયા ફરી શરુ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution