24, મે 2022
હળવદ, હળવદના ઘણાદ ગામે તાજેતરમાં એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ યુવાનની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પ્રેમ સંબધમાં કૈટુંબિક મામાના દીકરાએ જ યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોતાની બહેન સાથે યુવાનને પ્રેમસબંધ હોવાથી તેના જ કૌટુંબિક મામના દીકરાએ આ યુવાનનું કાસળ કાઢી નાખ્યું હોવાનું ખુલ્યું હતું. આથી હળવદ પોલીસે હત્યા કરનારા કૌટુંબિક મામના દીકરાની ધરપકડ કરી હતી. હળવદના ઘણાદ ગામે રહેતા રાજુભાઇ નામના યુવાનને કોઈએ તેની વાડીએ મોતને ઘાટ ઉતારી હત્યા કરી નાખી હતી. યુવાનની હત્યાના બનાવની જાણ થતાં હળવદ પોલીસે મૃતકના નજીકના પરિચિતોની ઉલટ તપાસ કરતા આ યુવાનની બીજા કોઈએ નહી પણ તેના જ કૌટુંબિક મામાના દીકરાએ હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ સુનીલભાઇ નાગરભાઇ જીજરીયાએ આરોપી હિરાભાઇ ઉર્ફે ભાનુભાઇ ભરતભાઇ કોળી તથા તપાસમાં ખુલ્લે તે તમામ માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના મૃતક ભાઇ રાજુભાઇ નાગરભાઇ ઉ.વ.૨૪ને તેના કૌટુંબિક મામા ભરતભાઇ કોળી રહે કવાડીયા વાળાની દિકરી સાથે પ્રેમ સંબધ હોય જેનુ મનદુખ રાખી આરોપીએ અન્ય સાથે આવી આ યુવક પોતાની વાડીએ સુતો હતો, ત્યા કોઈપણ હથીયારો સાથે આવી હથીયારો વડે માથામાં મારી જીવલેણ ઈજાઓ કરી હત્યા કરી નાખી હતી. હાલ હળવદ પીઆઈ માથુકીયા, પીએસઆઇ ટાપરીયા, ચેતન કળવાતર, ભરતભાઈ આલ, બિપીનભાઈ પરમાર, દેવેન્દ્રસિંહ ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, પ્રફુલસોનગ્રા, ઇતેશરાઠોડ, શક્તિસીંહ પરમાર સહિતની ટીમે શંકાના આધારે આરોપી હિરાભાઇ ઉર્ફે ભાનુભાઇ ભરતભાઇ કોળીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.