પાલનપુર-

રાજય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર આનંદ પટેલે મહત્વનો ર્નિણય લઇ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો છે. દારૂની હેરફેર કરતાં વધુ ૭ જેટલાં બુટલેગરોને આ મહિનામાં પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલમાં મોકલવાના કડક આદેશ કરવામાં આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે છેલ્લા ૬ મહિનામાં ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી, બુટલેગર, ધાડ, અપહરણ જેવી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પકડાયેલા કુલ-૩૯ જેટલાં અસામાજિક તત્વોને (પાસા) હેઠળ વિવિધ જેલોમાં મોકલવાના આદેશ કર્યા છે. આ આદેશ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાના અધિનિયમ-૧૯૮૫ના કાયદાની કલમ- ૩(૧) હેઠળ કરવામાં આવ્યો છે. જેનાથી બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપો છે.